એશિયાની સૌથી મોટી ડેરી એવી બનાસ ડેરી તેના ઉત્પાદોમાં ગુણવત્તાની બાબતે સંપૂર્ણ કાળજી રાખે છે. અત્રે ઉલ્લેખનીય છે કે દાણ ઉત્પાદન અને દાણ પેકીંગની પદ્ધતિ તથા તેના ઉપરની દેખરેખ એવી સુઘડ અને વ્યવસ્થિત છે કે આ પ્રકારે કોઈ ઉંદર-જીવજંતુ દાણની બોરીની અંદર રહી જાય તેવી શક્યતા નહીવત્ત છે. દિનપ્રતિદિનની કામગીરીમાં ગુણવત્તાની બાબત વણી લેવામાં આવેલ છે ત્યારે આજે બનાસ દાણમાં મરેલા ઉંદર મળી આવ્યાની બાબત સ્થાનિક સમાચારપત્ર મારફતે ધ્યાને આવતાં તેની ગંભીર નોંધ ડેરીના ઉચ્ચ અધિકારીઓએ લઈને પ્રત્યેક બાબતની તલસ્પર્શી માહિતી લીધી હતી. ખૂબ જ ચીવટભરી તપાસને અંતે જાણવા મળ્યું હતું કે આ સમગ્ર બાબત બનાસ ડેરીની છાપ બગાડવા માટેનું એક ષડયંત્ર માત્ર હતું. બાબતની વિગત એમ છે કે શંકરભાઇ ચેલાભાઈ તાતોસણીયા કે જે કુંભલમેર દૂધ મંડળીના સભાસદ છે અને તેઓએ ૦૨/૦૨/૨૦૧૯ના રોજ મંડળી ખાતેથી ૨ ગુણ દાણ ખરીદ્યું હતું, જેમાં કોઈ ક્ષતિ-દોષ ન હતો. આ દાણ તેઓએ તેમના ખેતરમાં ઉંદરનો ઉપદ્રવ હોય તેવા સ્થાને રાખેલ હતું અને આ ઉંદર જે-તે સ્થાને મૃત્યુ પામતાં તેમણે ઇરાદાપૂર્વકની ખોટી રજૂઆત કરીને મંડળી તથા ડેરીની છાપને ક્ષતિ પહોંચે તેવા નિવેદનો કરેલ. તપાસ થતા ગામના લોકો તથા ગામની દૂધ મંડળીનાં આગેવાનોની હાજરીમાં તેઓએ પોતાની ભૂલ લેખિતમાં સ્વીકારીને માફી માંગેલ છે. વધુમાં ડેરીનાં અધિકારીઓએ સભાસદે જ્યાં દાણ રાખેલ હતું તે સ્થળની મુલાકાત લેતા તે સ્થળ પર પણ ઉંદર દોડાદોડી કરતાં જોવા મળેલ હતા. સદર સભાસદે થયેલ ભૂલનું ભવિષ્યમાં પણ પુનરાવર્તન નહિ થાય તેવી બાંહેધરી પણ આપી હતી.
આમ બનાસ ડેરી પશુપાલકો અને જિલ્લાના લાખ્ખો પશુઓને સબંધિત પ્રત્યેક બાબતોમાં ગુણવત્તાના ઉચ્ચત્તમ માનકો પર કામ કરે છે તે બાબત પુનઃ સાબિત થઇ છે. રોજે રોજ ઉત્પાદિત થતું તમામ દાણ, પેક કરીને બોરીમાં રોજેરોજ તાજુને તાજું જ વિતરણ કરી દેવામાં આવે છે. બનાસ દાણ તેની ગુણવત્તા માટે આજે સર્વત્ર પ્રસિદ્ધિ પ્રાપ્ત કરેલ છે તથા સૌથી ચઢિયાતું છે. જિલ્લાના તમામ પશુપાલકોને બનાસદાણની ગુણવત્તાથી સંપૂર્ણ સંતુષ્ટિ છે અને તેથી જ બનાસ દાણની માંગ અવિરત વધતી રહી છે ત્યારે જુઠ્ઠાણા ફેલાવનારાઓને ફરી એક વખત જાકારો વેઠીને ભોંઠા પડવાનો વારો આવ્યો છે.