શહેરના આજવા રોડ ઉપર મહાવીર હોલ સામે આવેલ જૈન જિનાલયમાં શુક્રવારે મધરાત્રે ત્રાટકેલ તસ્કર 3 દાનપેટી (ભંડારો)માંથી લાખ્ખો રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. પર્યુષણ પર્વમાં આવેલી દાનની રકમ ચોરનાર સી.સી. ટી.વી.માં કેદ થઇ જતાં, પોલીસે સી.સી. ટી.વી. ફૂટેજના આધારે તસ્કરની શોધખોળ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર આજવા રોડ મહાવિર હોલ સામે જૈન જિનાલય આવેલું છે. શુક્રવારે મોડી રાત્રે એક વ્યક્તિ જિનાલયના મુખ્ય દરવાજાનું તાળું તોડીને પ્રવેશ્યો હતો. અને જિનાલય સ્થિત 3 દાન પેટી તોડીને તેમાંથી દાનમાં આવેલી રોકડ રકમની ચોરી કરી બિદાસ્ત ફરાર થઇ ગયો હતો.
જિનાલયમાં ચોરી કરનાર યુવાન જિનાલય સ્થિત સી.સી. ટી.વી.માં કેદ થઇ ગયો હતો. સી.સી. ટી.વી. ફૂટેજમાં આ યુવાન ચશ્માધારી અને પાતળા બાંધાનો હોવાનું જણાય છે. આજે સવારે જિનાલયમાં આવેલ સત્તાવાળાઓને જિનાલયમાં ચોરી થઇ હોવાની જાણ થતાં ચોંકી ઉઠ્યા હતા. તુરતજ તેઓએ જિનાલયના અન્ય ટ્રસ્ટીઓને જાણ કરતા તેઓ પણ જિનાલયમાં દોડી આવ્યા હતા.