વાવ તાલુકાના વાઢીયાવાસ નજીક પસાર થતી જાડીયા ડીસ્ટ્રીબ્યુટરી કેનાલમાં સોમવારે રાત્રે પાણી પીવા જતાં આઠ ગાયો કેનાલમાં ખાબકી હતી. જે તમામના મોત થતાં પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ તાલુકામાં રાજસ્થાન તરફ જતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી નીકળતી માલસણ બ્રાન્ચની જાડીયા ડીસ્ટ્રીબ્યુટરી કેનાલમાં રાત્રિના સમયે પાણી પીવા જતાં આઠ ગાયો ખાબકી હતી. પાણીનો પ્રવાહ વધુ હોઈ તમામ ગાયો કેનાલમાં તણાઈ જતાં તેમના મોત નિપજ્યા હતા. આ બનાવની જાણ થતાં આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ બાબતે વાઢીયાવાસ ગામના જાગૃત ખેડુત સગથાજી જાગાજી રાજપુતે જણાવ્યુ હતું કે હાલમાં દુષ્કાળની સ્થતિ હોઈ ગાયો પાણી માટે આમતેમ ફાંફા મારે છે અને કેનાલના ધસમસતા પ્રવાહમાં પાણી પીવા જતા મોતને ભેટી છે. આવો બનાવ બીજી વાર ન બને તે માટે જાડીયા ડીસ્ટ્રીબ્યુટરી કેનાલની આજુબાજુ દિવાલ બનાવવામાં આવે તે જરૂરી છે.