લોકસભા સભા ચુંટણી જાહેર થઇ ત્યારથી બનાસકાંઠા બેઠક ઉપર ઉમેદવારોની પસંદગીને લઇ ભાજપ અને કોંગ્રસમાં ધમાસાણ શરુ થઇ ગયું હતું. ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટ્યો હતો.સાથે સાથે મોટા સમાજો દ્વારા પણ પોતાના સમાજના વ્યક્તીને ટીકીટ મળે તે માટે દબાણ શરુ કરી દીધું હતું. તેમાય ખાસ કરીને ઠાકોર સમાજે આ વખતે ભાજપમાંથી ટીકીટ માટે ખુબજ દબાણ ઉભું કર્યું હતું. તેમ છતાં ટીકીટ ન મળતા ભારે નારાજગી છવાઈ હતી. બીજી તરફ પાટણના સાસંદ અને ઠાકોર સમાજના કદાવર નેતા લીલાધરભાઇ વાઘેલાએ પણ ભાજપ પાસે પોતાના પુત્ર માટે ટીકીટની માંગણી કરી હતી.આમ, ભાજપ દ્વારા ઠાકોર સમાજની ઉપેક્ષા કરાતા પક્ષ પ્રત્યે ભારે નારાજગીનો સુર ઉઠ્યો હતો. જેના પરિણામ સ્વરૂપ ભાજપના જ સાંસદ લીલાધરભાઇ વાઘેલાના પૌત્ર અજય વાઘેલાએ બનાસકાંઠા બેઠક ઉપર એનસીપીમાંથી ઉમેદવારી નોધાવવાનું મન બનાવી લીધું હતું. જે પૂર્વે જીલ્લામાં કોઈ અજ્ઞાત સ્થળે ઠાકોર સમાજની ગુપ્ત બેઠક પણ મળી હોવાનું જાણવા મળ્યું છે. આમ, પરથીભાઇ ભટોળને કોંગ્રેસમાંથી ટીકીટ મળતા તેમના પુત્ર અને ભાજપના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ ભાજપથી છેડો ફાડી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે ને બીજી તરફ લીલાધરભાઇ વાઘેલાના પૌત્ર અજય વાઘેલા એનસીપીમાંથી ચુંટણી લડે તેવી ચર્ચાઓ વચ્ચે ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થાય તેવું જણાઈ રહ્યું છે.