લાખણીની મેઇન બજારમાં આવેલી એક જ્વેલર્સની દુકાનમાં પાછળની દિવાલે બાકોરુ પાડી દુકાનમાં રહેલા જૂના - નવા દાગીના તેમજ રોકડ રકમ મળી રૂપિયા 1.75 લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઇ જતાં સમગ્ર બજારમાં ચકચાર મચી જવા પામી છે. આ બાબતે દુકાન માલિકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
લાખણીની મેઇન બજારમાં જૂની સ્ટેટબેન્કની સામેની લાઇનમાં આવેલી વાઘેશ્વરી જ્વેલર્સ નામની દુકાનમાં અજાણ્યા તસ્કરો દ્વારા રાત્રિના સમયે દુકાનની પાછળની પાકી દિવાલમાં કૉંસ જેવા હથિયારથી બાકોરું પાડી દુકાનમાં લગાવેલા સી.સી.ટીવી કેમેરા તોડી નાખ્યા હતા અને દિવાળીના તહેવારોમાં વેપાર માટે ખરીદેલા નવા તથા જૂના દાગીના તેમજ રિપેરિંગમાં આવેલા દાગીના તથા રોકડ રકમ મળી રૂપિયા 1.75 લાખનો મુદ્દામાં ચોરી ફરાર થઇ ગયા હતા. જે બાબતની જાણ સવારના સમયે દુકાનની પાછળ આવેલા ખેતર માલિકે દુકાન માલીકને કરતા દુકાન માલિક ભરતભાઇ અમૃતભાઇ સોનીએ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ડોગ સ્કોડ વગેરેની મદદથી વધુ તપાસ હાથ ધરી હતી.