સુરતઃ શહેરના કતારગામ વિસ્તારમાં હત્યા કરાયેલ માતાના મૃતદહે પાસે બેસીને તેની બે વર્ષની બાળકી કલાકો સુધી રડતી-રમતી રહી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કતારગામના રણછોડનગરમાં આવેલા બાલાજી કોમ્પ્લેક્સમાં રહેતા અને કડિયાકામ કરી પરિવારજનોનું પેટિયું રળતા મનોજભાઈ ચોટલિયાનાં પત્ની રિયા (ઉ.વ.28)ની શુક્રવારે બપોરે બે વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધીના સમયગાળામાં કોઈએ ઘરમાં ઘૂસી હત્યા કરી હતી. ઘરમાંથી રોકડા રૂ. 15 હજાર અને ઘરેણાંની લૂંટ ગુનેગારો કરી ગયાની ફરિયાદ કતારગામ પોલીસ મથકમાં નોંધાઈ હતી.
આ ઘટનામાં રિયાના પતિ મનોજ ચોટલિયા અને તેના પિતરાઈ ભાઈ શંકાના દાયરામાં છે. પોલીસે આ બન્નેની ઊંડાણપૂર્વક પૂછપરછ આદરી છે. હજુ સુધી બન્નેએ હત્યાની કબૂલાત કરી નથી. પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી પતિએ તેના પિતરાઈ ભાઈની મદદથી હત્યા કર્યાની વાતને ધ્યાને લઈ પોલીસે એ દિશામાં તપાસ કેન્દ્રીત કરી છે.
આ ગુનાની કરુણતા એ છે કે ચોટલિયા દંપતીને બે વર્ષની એકની એક પુત્રી છે. જ્યારે રિયા ચોટલિયાની હત્યા કરાઈ ત્યારે આ માસૂમ બાળકી ઘોડિયામાં પોઢી રહી હતી. સાંજે સાત વાગ્યે મનોજ ચોવટિયા ઘરે આવ્યો ત્યાં સુધી બાળકી તેની માતાના મૃતદેહ પાસે રમ્યા ને રડ્યા કરતી રહી! બપોરે ત્રણેક વાગ્યે આ બાળકી ઊંઘમાંથી ઊઠી, રાબેતામુજબ તેણે તેની માતાને કાલીઘેલી ભાષામાં બોલાવવાનો પ્રયાસ કર્યો. પછી પોતે જાતે જ ઘોડિયામાંથી ઉતરી માતા જ્યાં ઊંઘી રહી હતી ત્યાં પલંગ પર પહોંચી. ત્યાં પણ તેણે માતાને ઊંઘમાંથી જગાડવાનો પ્રયાસ કર્યો. આ માસૂમને ક્યાં ખ્યાલ હતો કે તેની માતા કાયમ માટે પોઢી ગઈ છે. લાંબા સમય સુધીની મહેનત પછી પણ માતા જાગી જ નહીં. આખરે આ માસૂમ બાળકી નોંધારી હાલતમાં રડવા માંડી હતી. સાંજે સાત વાગ્યે જ્યારે તેના પિતા કડિયા કામ પરથી ઘરે આવ્યા ત્યારે આ પુત્રી પાણી પીવા ભેગી થઈ હતી!