મહા વાવાઝોડું ભયંકર વિનાશ નોંતરશે તેવો ભય ટળ્યો છે અને હવે તે માત્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા કે મધ્યમ વરસાદ સ્વરૂપે અસર વર્તાવશે. ત્યારે ગઇકાલે મોડી રાતથી આજે વહેલી સવારે પણ અમદાવાદ, સુરત, અમરેલી, આણંદ, વડોદરા સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદ વરસવાના કારણે ખેડૂતોને પાકમાં ઘણુ નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.
વાવાઝોડું અરબી સમુદ્રમાં જ નબળું પડી ડીપ ડીપ્રેશનમાં ફેરવાઇ જતાં હવે ગુજરાતમાં દરિયાકાંઠે કે અન્ય સ્થળોએ લોકોનું સ્થળાંતર કરવાનું પણ તમામ જિલ્લા તંત્રોએ રદ્દ કર્યું છે. આ દરમિયાન બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યના મહેસૂલ સચિવ પંકજ કુમારે મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓ સમક્ષ તમામ બાબતોનું વિગતવાર પ્રેઝન્ટેશન કર્યું હતું અને તેમને આ અંગે માહિતગાર કર્યા હતા. પંકજ કુમારે અહીં આ બેઠકમાં જ જણાવ્યું કે હજુ પણ જિલ્લા તંત્રો ખડેપગે જ છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે, પરંતુ સ્થિતિ ગંભીર નથી. આ સાથે આગામી 12 કલાકમાં વાવાઝોડું ડીપ ડિપ્રેશન બનીને આગળ વધશે. આજે ગીર સોમનાથ,જૂનાગઢ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, વડોદરા સહિતના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.