વાવ શહેરનો ધવલ નાનજી માળી નામનો યુવક રવિવારની બપોરના બે વાગ્યાના સુમારે પોતાના ઘેરથી નિકળી ગયો હતો. આથી પરિવારે તેની વ્યાપક શોધખોળ હાથ ધરવા છતાં પણ કોઇ ભાળ મળી ન હતી. બીજી બાજુ થરાદ વાવ રોડ પરથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરના કિનારેથી સોમવારની વહેલી સવારે તેનો મોબાઇલ અને ચંપલ મળી આવ્યાં હતાં. આથી તેના પરિવારને જાણ કરાતાં બધા દોડી આવ્યા હતા અને નહેરમાં પડ્યાની આશંકાએ નગરપાલિકાના તરવૈયા સુલતાન મીર અને સ્થાનિકોની મદદથી તેની શોધખોળ હાથ ધરી હતી.
જેમાં સતત નવ કલાક સુધી ઘાસ વધુ હોવાના કારણે કાંટાળો તાર પણ ફેરવવામાં આવ્યો હતો. આખરે બપોરના ત્રણેક વાગ્યાના સુમારે જ્યાં શોધખોળ કરાતી હતી. તેના અડધો કિમી દુર મૃતદેહ તરીને બહાર આવ્યો હતો. જેને બહાર નિકાળી તેના વાલીવારસોને સોંપાયો હતો. બનાવના પગલે બહોળી સંખ્યામાં મૃતકના સ્નેહી અને અન્ય લોકો પણ દોડી આવ્યા હતા. આ બનાવથી થરાદ વાવ પં થકમાં અરેરાટી મચવા પામી હતી.