રખેવાળ ન્યુઝ, પાલનપુર: અજાણ્યા ચાર ઈસમોએ સોની વેપારીને નીચે પાડી આંખમાં મરચાની ભૂકી નાખી દસ તોલા સોનાના દાગીનાનો થેલો લઈ ફરાર થયા
પાલનપુર શહેરના દિલ્હીગેટ વિસ્તારમાં સોના ચાંદીની દાગીનાની દુકાન ધરાવતા સોની વેપારી સાથે લૂંટની ઘટના બની હતી. પાલનપુર હાઈવે પર અજાણ્યા ઇસમો આ સોની વેપારી નો દાગીના ભરેલો થેલો લઈ ફરાર થઈ ગયા હતા.
પાલનપુરના દિલ્હીગેટ વિસ્તારમાં આર.એસ જ્વેલર્સ નામની દુકાન ધરાવતા રાજુભાઈ પટેલ નામના વેપારી દુકાન વધાવી ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે એરોમા સર્કલ નજીક અજાણ્યા કારચાલકે બાઈક આગળ કાર ઊભી રાખી હતી. જેને લઈને વેપારી નીચે પડી ગયા હતા. ત્યારબાદ અજાણા ચાર ઈસમોએ નીચે ઉતરી અને આ સોની વેપારીના આંખમાં મરચાની ભૂકી નાંખી હતી. અને તેમની પાસે રહેલો અંદાજે ૧૦ તોલા દાગીના ભરેલો થેલો લઈ ફરાર થઈ ગયા હતા.
જોકે આ ઘટનાને પગલે પશ્ચિમ પીએસઆઇ સોલંકી ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને ત્યારબાદ એસપી તરૂણ દુગ્ગલ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા જોકે પોલીસે લૂંટારા કઈ દિશામાં ગયા છે તેની તપાસ હાથ ધરી છે. પરંતુ જે પ્રકારે પાલનપુરમાં ગુનાખોરીનો ગ્રાફ વધતો જાય છે અને દિન-પ્રતિદિન ગુનાઓ બનતા જાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્રની પકડ હવે ગુનેગારો પરથી ઢીલી થતી જાય છે. જોકે પોલીસે અત્યારે ત્રણ ટીમો બનાવીને લૂંટારુઓની શોધવાની દિશામાં તપાસ હાથ ધરી છે.