દીઓદર : લાખણી તાલુકાના આગથળા ગામે બે વર્ષ અગાઉ પતિ પત્નિ વચ્ચે દારૂ પીવા બાબતે બોલાચાલી થતાં પતિએ ઉશ્કેરાઈ પત્નિ ઉપર કેરોસીન છાંટી દીવાસળી ચાંપેલ. જે અંગે દીઓદર એડીશનલ સેસન્સ કોર્ટે આરોપી પતિને આજીવન કારાવાસની સજા તેમજ રૂ.પ હજારનો દંડ ફટકાર્યો હતો.
લાખણી તાલુકાના આગથાળ ગામે રહેતા રેખાબેન પરેશજી ઠાકોરને તા.૧પ/ર/ર૦૧૭ના રોજ તેમના પતિ સાથે દારૂ પીવા બાબતે બોલાચાલી થવા પામેલ. જેમાં દારૂના નશામાં ચકચુર રહેલ પતીએ ઉશ્કેરાઈ જઈ તેની પત્નિ ઉપર કેરોસીન છાંટી જીવતી સળગાવી હતી. જેમાં રેખાબેન ગંભીર રીતે દાઝી જતાં તાત્કાલીક સારવાર અર્થે મહેસાણા હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજેલ.
જે બાબતે આગથળા પોલીસ મથકે ઈ.પી.કો. કલમ ૪૯૮ (ક) ૩૦૭, ૩૦ર મુજબ ગુનો નોધાતાં આગથળા પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરી જેલના હવાલે કરેલ. જે કેસ આજરોજ દિયોદર એડીશન સેશન્સ જજ જે.એન.ઠક્કર સાહેબની કોર્ટમાં ચાલી જતાં મરનાર રેખાબેનનું મરણોત્તર નિવેદન તેમજ અન્ય પુરાવાઓ, સાક્ષીઓ તથા સરકારી વકીલ ડી.વી.ઠાકોરની દલીલોને ધ્યાને લઈ આરોપી પરેશજી પ્રધાનજી ઠાકોરને આજીવન સખત કેદ તથા રૂ.પ હજારનો દંડ ફટકારી દાખલા રૂપ ચુકાદો આપ્યો હતો.