અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક કેદીએ બીજા કેદી પર હુમલો કર્યો હોવાની ઘટના બહાર આવી છે. ઇજાગ્રસ્ત કેદીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. કેદીએ શા માટે અન્ય કેદી પર હુમલો કર્યો તે હજુ સુધી સામે આવ્યું નથી. રાણીપ પોલીસે હુમલો કરનાર કેદી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ગઇ કાલે બપોરના સમયે સાબરમતી સેન્ટ્રલ જેલમાં જેલર તરીકે ફરજ બજાવતા મગનભાઇ ખરાડીને સુબેદાર હીદાભાઇ માવછીએ જાણ કરી હતી કે જૂની જેલમાં બડાચક્કર બેરેક નં.૪માં આફટર બેરેકમાં બે કેદી વચ્ચે ઝઘડો થયો છે અને કેદીને ઇજા થઇ હોવાથી જેલના દવાખાને સારવાર માટે લઇ જવાયો છે, જેથી તેઓ તાત્કાિલક જેલના દવાખાને પહોંચ્યા હતા જ્યાં પાકા કામના કેદી પ્રવીણભાઇ રણછોડભાઇ હિરજન (ઉ.વ.૪૮, રહે. શંકર ભુવનના કાચાં છાપરાં, શાહપુર)ને મોઢાના અને માથાના ભાગે ઇજા થઇ હતી. તેથી ડોકટરે તેઓને તાત્કાિલક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવાનું કહેતા તેને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.
બેરેકમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરતા બેરેકમાં રહેતા પાકા કામના કેદી મોહંમદ સદ્દામ ઉર્ફે ઔરંગઝેબ મોહંમદ જાસ્મીન શેખ (રહે. મૂળ ખારાપાના, ખારવા, બિહાર)એ કેદી પ્રવીણભાઇને બહારથી પથ્થર લાવી માથામાં માર્યો હતો. ઉપરાંત ફરી છુટ્ટો પથ્થર મારી ઇજા કરી હતી.
બંને કેદી વચ્ચે ક્યા કારણસર મારામારી થઇ તે જાણવા મળ્યું ન હતું. બપોરના સમયે આ બનાવ બન્યો હતો અને ઇજા પામનાર કેદી પ્રવીણભાઇ સરખી રીતે બોલી શકતા ન હોવાથી હજી સુધી કોઇ વિગત જાણી શકાયું નથી. રાણીપ પોલીસે મગનભાઇ ખરાડીની ફરિયાદના આધારે કેદી મોહંમદ સદ્દામ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.