આગામી તા.૨૬ જાન્યુઆરી-૨૦૧૯ના રોજ રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય મહાપર્વની ઉજવણી ભારે હર્ષ અને રાષ્ટ્રપ્રેમના માહોલમાં યોજાય તેના આયોજન માટે પાલનપુર ખાતે કલેકટર સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને જિલ્લાના અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં કલેકટરે રાજયકક્ષાના કાર્યક્રમની ઉજવણીને અનુલક્ષી અધિકારીઓને વિસ્તૃત માર્ગદર્શન અને જરૂરી સુચનાઓ આપી હતી.
કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીને લક્ષ્યમાં લઇ વિકાસકામોનું ખાતમૂર્હુત અને લોકાર્પણ, બી.એસ.એફ. અને પોલીસ દ્વારા શસ્ત્ર પ્રદર્શન, શહેરમાં સ્વચ્છતા ઝુંબેશ અને સાફસફાઇ કરાવવી, ભીંતચિત્રો, જિલ્લાના શિલ્પ સ્થાપત્યોની કેનવાસ સ્પર્ધા, ડાયરો અને મુશાયરો, શહેરને રોશનીથી શણગારવું જેવી વિવિધ કામગીરી કરીને પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણીનું સુચારૂ આયોજન ગોઠવવામાં આવ્યું છે અને તે પ્રમાણે તમામ વિભાગોએ પોતાની કામીગીર શરૂ કરી દીધી છે. જિલ્લામાં જે વિભાગો દ્વારા વિકાસ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે તેવા કામોનું લોકાર્પણ અને જે વિકાસ કામોને તાંત્રિક મંજુરી મળી ગઇ હોય તેવા કામોનું ખાતમૂર્હુત કરવામાં આવશે. કલેકટરે કહ્યું કે બનાસકાંઠા જિલ્લા માટે આ બહુ મોટો અવસર છે ત્યારે બધા જ વિભાગના અધિકારીઓ એક ટીમ બની આ રાષ્ટ્રીય તહેવારને ધામધૂમથી ઉજવવામાં સુંદર કામગીરી કરશે.
બનાસકાંઠા જિલ્લાની તમામ કચેરીઓમાં પણ રોશની અને શણગાર કરવામાં આવશે તેમજ સ્વેચ્છાતા ઝુંબેશ દ્વારા જિલ્લાભરમાં સફાઇ કરવામાં આવશે. પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ તા. ૨૫ જાન્યુઆરીના એટ હોમ કાર્યક્રમ યોજાશે. જેમાં રાજયપાલ ઓ.પી. કોહલી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી જિલ્લાના નાગરિકો સાથે શુભેચ્છા આપ-લે કરશે. તા. ૨૬ જાન્યુઆરીના રોજ યોજાનાર કાર્યક્રમ વિશે કલેકટરે અધિકારીઓ સાથે વિસ્તૃમત સમીક્ષા કરી હતી. બેઠકમાં પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુલ, નિવાસી અધિક કલેકટર એલ.બી.બાંભણીયા, પ્રાન્ત અધિકારીઓ સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.