ભણવાના નામે કેનેડામાં વસવાટ માટે જઇ રહેલા યુવાનો માટે એક ખરાબ સમાચાર છે. તેઓ જો એજન્ટ દ્વારા કેનેડા પહોંચી પણ જાય છે તો ત્યાં એન્ટ્રી કરવી તેમના માટે હવે સરળ નહીં રહે. કેનેડા સરકારે હવે આવા વિદ્યાર્થીઓ માટે સામાન્ય જ્ઞાન અને ઇંગ્લિશ ભાષા પર પકડ માટે એરપોર્ટ પર જ ઇન્ટરવ્યુ લેવાનો સિલસિલો શરૂ કરી દીધો છે. પરિણામે ટ્રાવેલ એજન્ટ્સના સહારે ફક્ત કાગળિયાના આધારે હવે વિદ્યાર્થીઓ કેનેડામાં દાખલ નહીં થઇ શકે. તેમને ઇમિગ્રેશન ઓથોરિટી એરપોર્ટથી જ ડિપોર્ટ કરી દેશે.
આવા જ એક મામલામાં હાલ પટિયાલાના એક વિદ્યાર્થીને ડિપોર્ટ કરવામાં આવ્યો છે. ત્યાં પહોંચીને જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે અહીંયા કયો કોર્સ કરવા આવ્યો છે અને કઇ કોલેજમાં તેનું એડમિશન થયું છે તો તેનો જવાબ પણ તે ન આપી શક્યો.
એટલું જ નહીં, પરંતુ એક ફોર્મ જે વિદ્યાર્થીઓ પેતાના હાથે જ ભરવાનું હોય છે, તે પણ તેની બહેને ભરીને આપ્યું હતું. પરિણામે શિક્ષણ અને અંગ્રેજીના જ્ઞાન અંગે ઇમિગ્રેશન ઓથોરિટીને શંકા થઇ અને તેમણે તે વિદ્યાર્થીને કેનેડામાં પ્રવેશ ન આપ્યો. તેને એરપોર્ટથી જ પાછો મોકલી દેવામાં આવ્યો.
એક એજ્યુકેશન સેન્ટરના હેડ અવનીત બાંગડે જણાવ્યું કે તેમની તરફથી ભેગા કરવામાં આવેલા રેકોર્ડ્સ પ્રમાણે, છેલ્લાં 3 વર્ષોથી ફક્ત કેનેડામાં જ 1.5 લાખ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ ઉચ્ચ શિક્ષણ લેવા માટે જઇ ચૂક્યાં છે.
દરેક વિદ્યાર્થી પોતાની 1 વર્ષની 12 લાખ રૂપિયા ફી ભરે છે. 2 લાખ રૂપિયા પોતાનો ખર્ચો સાથે લઇને જાય છે અને બીજા વર્ષના સેમેસ્ટરના 6 લાખ રૂપિયા ફરી પોતાના માતા-પિતા પાસે મંગાવે છે.
ત્યારબાદ પોતે કામ કરીને પોતાના આગામી દોઢ વર્ષની ફીસ અને અન્ય ખર્ચાઓ કાઢી લે છે. એ રીતે જોતાં પ્રત્યેક વિદ્યાર્થીની સાથે 20 લાક રૂપિયા ભારતીય કરન્સી કેનેડા જાય છે અને અત્યાર સુધીમાં 30 હજાર કરોડ રૂપિયાની ભારતીય કરન્સી કેનેડા જઇ ચૂકી છે.
પૂર્વ કૃષિમંત્રી જત્થેદાર તોતાસિંહ જણાવે છે કે કોંગ્રેસ સરકારની આ નિષ્ફળતા છે કે તે ઉચ્ચ શિક્ષણમાં કોઇ નવી ટેક્નીક નથી લાવી શકી. એટલે પંજાબીઓને વિદેશ ભાગવું પડે છે.
ઉચ્ચ ટેક્નીકલ શિક્ષણમંત્રી ચરનજીત ચન્નીએ કહ્યું કે, અમે વિદેશ જનારા વિદ્યાર્થીઓને ગેરકાયદે એજન્ટ્સથી બચાવવા માટે કડક કાયદો બનાવ્યો છે. અમે વેબસાઇટ પર મફત ગાઇડન્સ આપીએ છીએ.