મીનીસ્ટ્રી ઓફ એકસટ્રનલ અફેર એન્ડ ડીપાર્ટમેન્ટ પોસ્ટના સંયુક્ત ઉપક્રમે સાબરકાંઠા જિલ્લાની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે સાસંદ શ્રી દિપસિંહ રાઠોડના હસ્તે પાસપોર્ટ કેન્દ્રને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
સેવા કેન્દ્રને ખુલ્લુ મુકતા સાસંદ શ્રી દિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, પાસપોર્ટ માટે રાહ જોતા સાબરકાંઠા જિલ્લાવાસીઓ માટે આ એક આનંદની વાત છે જિલ્લાની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતેથી જ પાસપોર્ટની અરજી કરીને મેળવી શકાશે. જેથી અમદાવાદ જવાથી જે નાણાકીય અને સમયનો વ્યય થતો હતો તેમાં જિલ્લા વાસીઓને રાહત થશે.
સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપતા રીઝનલ પાસપોર્ટ ઓફિસર નિલમ રાનીએ જણાવ્યું હતુ કે, અમદાવાદ કચેરી ખાતે સાબરકાંઠા જિલ્લામાંથી દર માસે ૫૦૦થી વધુ અરજીઓ આવે છે આ સેવા કેન્દ્રનો શરૂઆત થતા જિલ્લાની પ્રજાને મોટી રાહત થશે. કેન્દ્રના શુભારંભ પ્રસંગે ડાકધર અધિક્ષક શ્રી ગૌતમ ભટ્ટાચાર્યએ મહેમાનેને સ્વાગત આવકાર આપ્યો હતો. આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, નગરપાલિકા પ્રમુખ શ્રી અનિરુધ્ધ સોરઠીયા, અગ્રણી શ્રી જે.ડી.પટેલ સહિત પોસ્ટ વિભાગના કર્મીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.