ધંધામાં પારદર્શિતા આવે તે માટે મોદી સરકાર દ્વારા જીએસટી એક્ટ લાગુ કરવામાં આવ્યો છે. ત્યારે વલસાડ ખાતે એક વેપારી દ્વારા છેલ્લા ઘણા સમયથી દુકાનના જીએસટી નંબર મેળવવા માટે હેરાનગતિ થતી હોવાથી અનોખો માર્ગ અપનાવ્યો હતો. અને શહેરના મધ્યમાં આવેલા આઝાદ ચોક ખાતે વેપારીએ વડાપ્રધાનને ઉદ્દેશીને પત્ર લખી પોતાની હાલાકી દર્શાવી હતી.
વલસાડના દુકાનદાર ભરત રાજપૂતે પોતાની હાલાકી ઠાલવતાં આઝાદ ચોક પર બેનર ચોટાડ્યું છે. વડાપ્રધાનને લખેલા આ પત્રમાં તેમણે લખ્યું છે કે, હું એક કિશાન પુત્ર છું. મારી જન્મ ભૂમી છોડીને મારા પરિવાર સાથે હું અહિં વલસાડ આવ્યો. અને મેં લોન લઈને દુકાન કરેલ છે. પણ 2 (બે ) મહિનાથી જીએસટી નંબર માટે હું દોડધામ કરી રહ્યો છું.પણ મને જીએસ નંબર મળતા નથી તેથી હું બહું પરેશાન છું. મેં છ લાખ વ્યાજ ક્યાથી ભરૂ કંપની વાળાને માલ આપ્યો અને હવે જીએસટી નંબર માંગે છે. અને એમ લાગ્યું 1 મહિનામાં મળી ગઈ પણ નંબર ના મળતા હેવા મારી પાસે કોઈ રસ્તો નથી તેથી હું મારું સારું કામ પતાવીને 22 સપ્ટેમ્બર 2018ના રોજ બપોરના 12 વાગ્યે આત્મહત્યા કરીશ મારી પાસે કોઈ વિકલ્પ નથી. 22ના રોજ 10 વાગ્યે મારા રાજપૂત સમાજને ફેસબુક દ્વારા મેસેજ આપતો જઈશ.
વલસાડના હાર્દસમા અને ટ્રાફિકથી સભર આઝાદ ચોક ખાતે લગાવાયેલા આ પોસ્ટરને જોવા માટે પસાર થતાં લોકો ઉભા રહીને જોઈ રહ્યાં છે. અને પત્રને લઈને તરેહતરેહની ચર્ચા ચાલી રહી છે. જો કે, જીએસટીને લઈને આ પ્રકારનો વિરોધ પહેલવહેલો હોવાથી લોકોમાં ભારે આ પત્રને લઈને ગરમાવો ફેલાયો છે.