અંબાજીમાં 50 માઈક્રોનથી ઓછા પ્લાસ્ટિકના વપરાશ પર હવે પાંચ હજારનો દંડ થઈ જશે અને જાહેરનામા ભંગ બદલ પોલીસ કાર્યવાહી થઈ શકશે જે અંગેની વિગતો દાંતા પ્રાંત અધિકારી અને અંબાજી વહીવટદાર દ્વારા અંબાજીના વેપારીઓને આપી પ્લાસ્ટિક મુક્ત ભાદરવી પૂનમના મેળા માટે તાકીદ કરાઈ હતી. આ ઉપરાંત બેઠકમાં પ્રસાદ વેચતા વેપારીઓ વધુ ભાવો ન લે, એકવાર હરાજી થયેલા પ્લોટ બીજીવાર ન વેચાય સહિતના મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
પ્લાસ્ટિક મુક્ત ભાદરવી પૂનમના મેળાની કલ્પનાને સાચા અર્થમાં સાકાર કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર વેપારીઓ સાથે બેઠક યોજી ગત વર્ષે સર્જાયેલી પરિસ્થિતિનું ફરી નિર્માણ ન થાય તે માટે અગાઉથી જ પ્રસાદનું પેકિંગ 50 માઈક્રોનથી ઉપરના પ્લાસ્ટિકમા કરવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. કેટલાક વેપારીઓ સાકરીયા જે થેલીમાં ભરે છે તે પ્લાસ્ટિકની થેલીના સેમ્પલ પણ લઈને આવ્યા હતા. જોકે વહીવટદાર અને પ્રાંત અધિકારી બંનેએ 50 માઈક્રોન થી નીચેનું પ્લાસ્ટિક હશે તો જાહેરનામા ભંગની અને 5 હજાર દંડની એમ બંને પ્રકારની કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે તેવું સ્પષ્ટ જણાવ્યું હતું.
બેઠકમાં કેટલાક અગત્યના અન્ય મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવી હતી જેમાં અંબાજી પહોંચેલા શ્રદ્ધાળુઓ સાથે કોઈ છેતરપિંડી ન થાય, પૂરતો માલસામાન મળી રહે, ખાદ્ય સામગ્રીની શુદ્ધતા જળવાય, વસ્તુ તોલમાપ કરતા ઓછી ન હોય તે અંગેની સૂચનાઓ આપવામાં આવી હતી. એટલું જ નહીં અંબાજીના મેળા દરમિયાન વેપારીઓને ધંધા રોજગાર માટે હંગામી પ્લોટ પાડીને સાત દિવસ માટે સરકારી જમીન ભાડે આપવામાં આવતી હોય છે તેમાં પણ કેટલાક તત્વો દ્વારા પ્લોટ ઉંચી કિંમતે વેચતા હોવાની ફરિયાદ સામે આવશે તો 25 હજારના દંડ કરવાની જાહેરાત કરાઈ હતી.