ટ્રક ડ્રાઈવર્સ અને કંડક્ટર્સની હત્યા કરનાર આદેશ ખામરાને દરેક હત્યા પછી માત્ર 40-50 હજાર રૂપિયા આપતા હતા. એટલું જ નહીં આ રકમ તેના સાથી જયકરણને પણ મળતી હતી. અત્યાર સુધી થયેલા ખુલાસામાં પોલીસને ખબર પડી છે કે, 14 મર્ડર પછી આદેશ અને જયકરણને માત્ર ત્રણ-ત્રણ લાખ રૂપિયા મળ્યા છે. બિલખિરિયા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ દરમિયાન જ્યારે એક કોન્સ્ટેબલે આદેશની સામે આંખ કાઢી ત્યારે આદેશે કહ્યું હતું કે, આંખો ન કાઢીસ મને, હું કોઈ ખીસ્સાકાતરુ નથી. તમે મને કો-ઓપરેટ કરશો તો જ હું તમને કો-ઓપરેટ કરીશ.
નોંધનીય છે કે, ભોપાલ પોલીસે ટ્રક લૂંટ્યા પછી ડ્રાઈવર અને ક્લીનરની હત્યા કરનાર આરોપીઓનો ખુલાસો કર્યો છે. 3 લોકોની આ ગેંગ અત્યાર સુધી 14 લોકોની હત્યા કરી ચૂકી છે. આ ગેંગ મધ્ય પ્રદેશ સહિત આજુબાજુના રાજ્યોમાં પણ સક્રિય હતી. તેમણે અત્યાર સુધીમાં 12 ઘટનાઓમાં 14 હત્યા અને લૂંટનો ખુલાસો કર્યો છે.
આંતરરાજ્ય હત્યારાના પકડાયાની માહિતી મળતાં જ અન્ય રાજ્યોની પોલીસે પણ ભોપાલ પોલીસનો સંપર્ક કર્યો હતો. રાજનાંદગાવ અને રાયપુરથી ભોપાલ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેમના રાજ્યમાં પણ આ જ રીતે ટ્રક ડ્રાઈવર અને કંડક્ટરની હત્યા કરવામાં આવી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. હાલ ત્રણેય આરોપીઓ રિમાન્ડ પર છે. એસપી સાઉથ રાહુલ લોઢાના જણાવ્યા પ્રમાણે, આરોપીઓ સાથેની પૂછપરછમાં અન્ય પણ ઘણાં ખુલાસા થવાની શક્યતા છે.
આરોપી બિલખિરિયા અને પુણેમાં ઘટનાને અંજામ આપ્યા પછી ટ્રક લઈને સિરોંજથી પસાર થતાં હતા. અહીંથી ગુના, અશોક નગર, ભિતરવાર થઈને ઉત્તર પ્રદેશ જતા હતાં. તેમને બીજા રાજ્યોના પણ આવા રસ્તાઓ ખબર હતાં, જ્યાં ટોલનાકા નહતા આવતા. અને જો રસ્તામાં ટોલનાકુ દેખાય તો પણ તેઓ રસ્તો બદલી દેતા હતા. તેઓ આવું એટલા માટે કરતાં હતા જેથી ટોલનાકાના સીસીટીવીમાં ગાડીનો નંબર ન નોંધાઈ જાય.
જયકરણ અને આદેશ માત્ર તે જ ટ્રક ડ્રાઈવર્સને ટાર્ગેટ કરતાં હતા જેની ટ્રક કોઈ મોટી કંપનીની હોય. તેમાં પણ તેઓ માત્ર 12 અને 14 ટાયર વાળી ટ્રકોને જ પસંદ કરતા હતા. કારણકે આવી ટ્રકની રિસેલ વેલ્યુ વધારે રહેતી હોય છે. પોલીસ ગ્વાલિયરમાં રહેતા તે દલાલને શોધી રહી છે જે ટ્રક ઉત્તર પ્રદેશ અને બિહારમાં વેચવાનું કામ કરે છે. તે જ ટ્રકમાં ભરેલો સામાન પણ અડધા-પોણા ભાગમાં વેચાવાનું કામ કરે છે.
પુણેથી ભોપાલ આવેલી 25 ટન ખાંડથી ભરેલી ટ્રક આદેશ અને જયકરણ જ લાવ્યા હતા. જોકે તેઓ આ ટ્રક ડ્રાઈવરને મારતા તે પહેલાં જ પોલીસે તેમને પકડી લીધાં હતા. આ ટ્રક મિસરોદમાં રહેતાં મનોજ શર્માની હતી. મનોજ ટ્રકનો નંબર ટોલનાકા પર રજિસ્ટર્ડ કરાવી હતી. જ્યારે પણ આ ટ્રક કોઈ ટોલનાકા પરથી પસાર થતી ત્યારે તેમના મોબાઈલ પર એક મેસેજ આવતો હતો. તેથી જ તેમને ટ્રકના છેલ્લા લોકેશનની જાણ રહેતી. તેને જ ફોલો કરીને પોલીસે જયકરણને પકડ્યો હતો. આ ગેંગને પકડવા માટે એસપી સાઉથે સાત સભ્યોની ટીમ બનાવી હતી. તેમાં એએસપી દિનેશ કૌશલ, સીએસપી બિટ્ટૂ શર્મા, ટીઆઈ એલએસ ઠાકુર, સંજીવ ચોક્સી, કોન્સ્ટેબલ સચીન બેડરે, દિવેશ માલવીય અને અરુણ કુમાર સામેલ હતા. ડીજીપી ઋુષીકુમાર શુક્લાએ આ ટીમને ઈનામ આપવાની જાહેરાત કરી છે.