ધાનેરા ઉનાળાની કાળઝાળ ગરમીમાં ધાનેરા તાલુકાના અનેક ગામોમાં લોકોને પીવાનું પુરતુ પાણી મળતું નથી. જેથી મહિલાઓ ભર બપોરના બળબળતા તડકામાં પાણી માટે વલખા મારી રહી છે. વિકાસની વાતો કરતી ગુજરાતની ભાજપ સરકારમાં હકીકત કઇંક જુદી જ જોવા મળી રહી છે ગુજરાતમાં સતત વધી રહેલી કાળઝાળ ગરમીમાં લોકો ઘરની બહાર નીકળી શકતા નથી ત્યારે ધાનેરા તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ અને બાળકો પીવાના પાણી માટે એકથી બે કિલોમીટર સુધીના વલખા મારી રહ્યા છે ત્યારે લોકોની આવી દુર્દશા માટે જવાબદાર તંત્રના અધિકારીઓને રજૂઆતો કરવા છતાં એ.સી.વાળી વતાનુકુલિત કચેરીમાં બેઠેલા અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી.
ધાનેરા તાલુકાના પેગિયા, છોટા રામપુરા સહિતના કેટલાક ગામડાઓની પાણીની સમસ્યાઓ જાણવા અમે ગામડાઓની મુલાકાત લેતા જાણવા મળ્યું કે આ ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓ અને નાના બાળકો પીવાના પાણી માટે ગામના સીમાડાઓથી એક થી બે કિલોમીટર દૂર સુધીના ખેતરોમાંથી પાણી ઉપાડીને લાવી રહ્યા હતા તો છોટા રામપુરમાં ગ્રામ પંચાયત દ્વારા પાણીનો બોર બનાવાયેલો છે પણ મોટરમાં કોઈ ખામી સર્જાતા તેને એક મહિના જેટલા સમયથી રીપેરીંગ ના કરવા આવતા લોકોને પાણી નથી મળી રહ્યું ત્યારે લોકોએ આક્ષેપ કર્યો હતો કે સરપંચ લોકોને કોઈજ જવાબ આપી રહ્યા નથી અને જે થાય તે કરી લો હું મારી રીતે જ કામ કરીશ ત્યારે સરપંચની મનમાની સામે લોકો મજબૂર જોવા મળી રહ્યા છે.