અમદાવાદ: અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળાની સ્થિતિ વકરી રહી છેે દવાખાનાંઓ વાઈરલ, તાવ, શરદી સહિતના રોગની ફરિયાદ સાથેના દર્દીઓથી ઊભરાઈ રહ્યાં છે ત્યારે આરોગ્ય વિભાગે રોગચાળા નિયંત્રણની કામગીરીને વધુ કાર્યક્ષમ બનાવવા માટે અમદાવાદ સહિત રાજ્યભરના તબીબી અધિકારીઓ, ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફની રજાઓ કેન્સલ કરી છે અને તંત્ર બીજો આદેશ ન કરે ત્યાં સુધી કોઈ પણ મેડિકલ સ્ટાફની રજા મંજૂર ન કરવાની સૂચના આપવામાં આવી છે
હોસ્પિટલોમાં દર્દીઓને તાત્કાલિક સારવાર આપી શકાય તે માટે રજા ઉપર ગયેલા તમામ સરકારી ડોકટરો અને અન્ય મેડિકલ સ્ટાફને પણ પરત ફરજ પર બોલાવી લેવાયા છે. હવેથી આકસ્મિક સંજોગોમાં પણ મેડિકલ સ્ટાફ કે ડોકટરે રજા લેવી હશે તો આરોગ્ય કમિશનર પાસેથી રજા મંજૂરી લેવી પડશે.
આ વર્ષે વાઈરલ, પાણીજન્ય રોગો અને મચ્છરજન્ય રોગચાળાના કેસ મોટા પ્રમાણમાં નોંધાઈ રહ્યા છે. આ મહિનાના પહેલા ૧પ દિવસમાં અમદાવાદ શહેરમાં મેલેરિયાના ૧૬પ૦, ફાલ્સિફેરમના ૧૭૧, ડેન્ગ્યુના ૩૭૯ અને ચિકન ગુનિયાના ૬૦ કેસ નોંધાયા છે.
ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી કુલ ૩૦૧ કેસ સ્વાઈન ફ્લૂના નોંધાયા છે, જેમાં મૃત્યુ આંક ૯ નોંધાયા છે. ૧૦૭ દર્દીઓ સારવાર બાદ સજા થયા છે જ્યારે ૧૮પ સ્વાઈન ફ્લૂના દર્દીઓ હજુ જુદી જુદી સરકારી હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે.
આ અંગે આરોગ્ય કમિશનર જયંતી રવિએ જણાવ્યું હતું કે રોગચાળાની િસ્થતિ નિયંત્રણમાં છે, પરંતુ કામગીરી ઘનિષ્ઠ બનાવવાના ભાગરૂપે અને દર્દીને ર૪ કલાકમાં સારવાર મળી રહે તે માટે તેમજ સર્વેલન્સની કામગીરી અસરકારક બની રહે તે માટે મેડિકલ સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી છે
સ્વાઈન ફ્લૂ અને ડેન્ગ્યુ જેવા રોગચાળાના પગલે અમદાવાદ સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં મેલ અને ફીમેલ હેલ્થ વર્કરો દ્વારા હાઉસ ટુ હાઉસ રેપિડ ફીવર સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. રજાઓમાં પણ આ કામગીરી ચાલુ રહેશે. અમદાવાદ શહેર ને ગાંધીનગરમાં અત્યાર સુધી ૩ર લાખ લોકોનું સ્ક્રીનિંગ કરાયું છે. તેમના લોહીના નમૂનાઓ લઈને દવાઓનું વિતરણ કરાયું છે