થરાદ : થરાદની શેણલ નગર સોસાયટીમાં રહેતા નરેશભાઈ શંકરભાઈ રાજપૂતે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે રાજપૂત વાસના નાકા ઉપર તેમના કુળદેવી ચામુંડા માતાજીનું તથા બાજુમાં શેણલ માતાજીનું મંદિર આવેલ છે. એ જ કમ્પાઉન્ડમાં દશામાં અને ચામુંડા માતાજીના મંદિરો આવેલાં છે. ચામુંડા માતાજીના મંદિરમાં પૂજારી તરીકે ઈન્દ્રકુમાર દવે માતાજીની સેવા-પૂજા કરે છે. શુક્રવારની વહેલી સવારના પોણા પાંચ વાગ્યાના સુમારે સવારે નિત્યક્રમ પ્રમાણે કુળદેવી ચામુંડા માતાજીના મંદિરે દર્શન કરવા જતા મંદિરનો દરવાજો ખુલ્લો જણાયો હતો તેમાં એક સાઈડનો દરવાજો તુટેલ જણાતાં કંઈક બનાવ બનેલ હોવાનું લાગતાં કુટુંબીજનોને તથા પુજારીને ફોન કરીને બોલાવ્યા હતા. દરમિયાન પરિવારના માણસો આવી જતા ચોરી થયાનું જણાતા મંદિરના સીસીટીવી કેમેરામાં તપાસ કરી હતી તો પાંચ શખ્સો મોઢા બાંધીને મંદિરમાં ચોરી કરતા જણાયા હતા અને આજુબાજુમાં તપાસ કરતાં શેણલ માતાજીના મંદિરમાં તથા તેજ કંપાઉન્ડમાં આવેલ ચામુંડા માતાજીના મંદિર અને દશામાના મંદિર તથા બાજુમાં આવેલ પંડ્યા વાસમાં પંડ્યા સમાજના કુળદેવી વેરાઈ માતાજીના મંદિરમાં પણ ચોરી થયાનું જાણવા મળ્યું હતું. નરેશભાઇની ફરીયાદના આધારે ચાંદીનું છત્ર ૫૦૦ ગ્રામ, ચાંદીની પાદુકા અઢીસો ગ્રામ, નાની ચાંદીની તલવાર અઢીસો ગ્રામ, સોનાની વીંટી પાંચ ગ્રામ મળીને કુલ ૭૫૦૦૦ તથા ભંડારામાં રહેલ અંદાજીત ૨૦,૦૦૦ મળીને કુલ ૯૫ હજારની ચોરી થવા પામી હતી. જ્યારે શેણલ માતાજીના મંદિર ૬૦૦૦૦ તથા પંડ્યા સમાજના કુળદેવી વેરાઈ માતાજીના મંદિરમાં ૬૩૦૦૦ ચોરી થવા પામી હતી. બનાવની જાણ કરાતા દોડેલી થરાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.