નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસીને લઈને કેન્દ્ર સરકાર પર ચારેકોરથી પ્રહારો થઈ રહ્યાં છે. કેટલાક રાજ્યોના નેતાઓ તો આ બિલ લાગુ ના કરવાની જાહેરાત પણ કરી ચુક્યા છે. પરંતુ હવેની સ્થિતિ પર નજર કરવામાં આવે તો જણાશે કે સરકારે પોતાની રણનીતિ બદલી લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના તાજેતરના નિવેદનો આ વાતની સાક્ષી પુરે છે.ભાજપના નેતાઓના બદલાયેલા વલણથી સ્પષ્ટ જણાય છે કે, સરકારે પોતાની રણનીતિ બદલી છે અને એ લોકો પર નિશાન સાધવામાં આવી રહ્યું છે જે અત્યાર સુધી ચાલી રહેલા પ્રદર્શનોનું નેતૃત્વ કરી રહ્યાં હતાં અથવા તો તેનો આગળ પડતો વિરોધ કરી રહ્યાં હતાં. કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના નેતાઓએ સીએએ અને એનઆરસીનો વિરોધ કરનારાઓને ‘અર્બન નક્સલ’ કે ‘ટુકડે-ટુકડે’ ગેંગ કહીને ટાર્ગેટ કરવાનું શરૂ કરી દીધું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૨ ડિસેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં એક રેલી કરી હતી. જેમાં તેમને કહ્યું હતું કે, અર્બન નક્સલ દ્વારા એનઆરસીના મુદ્દે મુસલમાનોમાં અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. ઘણા એવા ભણેલા ગણેલા લોકો પણ છે જેમને એનઆરસીને લઈને સાચી જાણકારી જ નથી અને આ લોકો જ ભ્રમ ફેલાવી રહ્યાં છે.