પવિત્ર યાત્રાધામ અંબાજીના ભાદરવી પૂનમના મહામેળામાં લાખો પદયાત્રિકો રાત દિવસ જય અંબેના જયઘોષ સાથે અંબાજી ઉમટી રહયા છે અને શ્રદ્ધાની લાગણી સ્વરૂપે મંદિરમાં ભેટ આપી રહયા છે.ભાદરવી પૂનમના મહા મેળામાં માઇભક્તોની સંખ્યા લાખોમાં હોય છે અને એમને દ્વારા ચઢાવેલી દાનની રકમ પણ લાખોમાં થઈ જાય છે. મંદિર ટ્રસ્ટ દ્વારા આવેલી આ દાનની રકમની ગણતરી ભંડાર કક્ષમાં મજબૂત સુરક્ષા વચ્ચે થાય છે. ભંડાર કક્ષમાં ગણતરી પર સીસીટીવી કેમેરાઓથી નજર રાખવામાં આવે છે. આ માટે ભંડાર ગણતરી કક્ષમાં ૧૫ થી ૧૭ કેમેરા લગાવવામાં આવ્યા છે. અને ભંડારની ગણતરીનું તમામ કામ કેમેરાની દેખરેખ હેઠળ જ થાય છે. શ્રી આરાસુરી માતાજી દેવસ્થાન ટ્રસ્ટ ભંડારાની રકમની ગણતરી માટે કોલેજના વિધાર્થીઓ અને સંસ્કૃત પાઠશાળાના વિધાર્થીઓની પણ મદદ લેવામાં આવે છે. આ વખતે ભંડાર ગણતરીમાં જિલ્લા કક્ષાના અધિકારીઓની પણ સેવા લેવામાં આવી છે.ભંડાર કક્ષમાં ગણતરીના પહેલા અંદર આવતા અધિકારીઓ અને વિધાર્થીઓની તપાસની કરી પછી ભંડાર કક્ષમાં પ્રવેશ આપવામાં આવે છે તથા ગણતરી પૂરી થયા પછી બહાર જતી વખતે પણ તેમની તપાસ કરાય છે અને રોજેરોજભંડારામાં આવેલી દાનની રકમ પૂરેપૂરી રોજેરોજ બેંકમાં જમા કરાવવામાં આવે છે. આ વખતના મહામેળામાં ૩ દિવસ માં ભંડારામાં રોકડા ૬૨ લાખ ૪ હજાર ૫ સૌ ૪૦ રૂપિયા દાન તરીકે આવેલા છે જે બેંકમાં જમા કરાવી લીધેલ છે. અને ભંડારામાં આવતા સોના ચાંદી ના દાગીનાને મંદિર ના અધિકૃત કરાયેલા સોની દ્વારા ખરાઈ કરાયા પછી મંંદીરના સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવામાં આવે છે.