રાજ્યમાં બાંધકામ ક્ષેત્રે ઓનલાઇન પ્લાન પાસ કરવાનો નિર્ણય આખરે રાજ્ય સરકારે પરત લેતા હવે નોરતામાં જ બિલ્ડરોને દિવાળીની ભેટ મળી ગઇ છે. હવે ઠપ્પ પડેલા બાંધકામ ઉદ્યોગમાં તેજી ફૂંકાશે. રાજ્ય સરકારના મહત્વના નિર્ણયને કારણે બિલ્ડરો ઉપરાંત બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા એક કરોડથી વધારે લોકોને લાભ થશે. સાથે બાંધકામ માટેના પ્લાન પાસ થતાં ખરીદારોને પણ હવે નવા મકાનો મેળવવામાં રાહત મળશે.રાજ્ય સરકારે 7મી મે 2018ના રોજ રાજ્યમાં બાંધકામ માટેના તમામ પ્લાનની પરવાનગી ઓનલાઇન મેળવવાની યોજના લાગુ કરી પ્લાન ઓફલાઇન પાસ કરવાનું બંધ કર્યું હતું. સરકાર દ્વારા બનાવવામાં આવેલા સોફ્ટવેરમાં અનેક ક્ષતીઓ રહેલી હતી. જે બાબતે અત્યાર સુધીમાં 14 વખત સુધારા પણ કરવામાં આવા છતાં આ ક્ષતીઓ દૂર થઇ શકી ન હતી.સોફ્ટવેરમાં 200 જેટલા લેયર ઉમેરવામાં આવ્યા હતા. જોકે તેમ છતાં જીડીસીઆરના તમામ નિયમો તેની સાથે મેચ થઇ શક્યા ન હતા. અલગ અલગ બિલ્ડિંગ માટે અલગ પ્રકારનો પ્લાન મુકવામાં આવે છે ત્યારે તે સંજોગોમાં આ સોફ્ટવેર દ્વારા યોગ્ય પ્લાન પુટઅપ થઇ શકે તેમ ન હતો. બિલ્ડરો દ્વારા અલગ અલગ 8 વખત આ બાબતે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. તેમજ છેલ્લા તો બિલ્ડરો દ્વારા સરકાર સામે આ મામલે બાંયો ચઢાવવામાં આવી હતી.