રાધનપુરમાં જી.આઈ. ડી.સી.ની બાજુમાં જેઠાસર વિસ્તારમાં છેલ્લા ૧૫ વર્ષથી ત્રીસેક કુટુમ્બો રહે છે,જ્યારથી ફોરલાઇન હાઇવે થયો ત્યારથી આ કુટુંબો રહે છે તે વિસ્તારમાં ગામની ગટરનું ગંદુ પાણી અને વરસાદી પાણી ભરાવાના કારણે લોકોનું જીવવું દોહ્યલું બની ગયું છે.ચારેબાજુ પાણી ભરાઈ રહેવાના કારણે અવાર-નવાર સાપ અને ઝેરી જીવજંતુઓ પાણીમાં રહેતા હોવાથી ક્યારેક બહાર નીકળીને ઘરમાં ઘુસી જતા લોકો ધ્રુજી જતા હોય છે.આ ઉપરાંત ગંદા પાણીના ભરાવાના કારણે રોગચાળો ફાટી નીકળવાની સતત દહેશત રહેતી હોય છે.એક બાજુ ગટરના ગંદા પાણી અને બીજી બાજુ નેશનલ હાઈવેની બનાવેલી ગટરોમાંથી આવતા વરસાદી પાણીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. પાણી ભરાઈ રહેવાથી બાળકો અને બુજુર્ગોને બહાર
નીકળવું હોય તો પણ સો વાર વિચાર કરવો પડે છે. આ વિસ્તારના લોકોએ નગરપાલિકાના સત્તાધીશોને અનેક વખત રજૂઆતો કરી હોવા છતાંય બહેરા કાને અથડાઈને આ રજૂઆતો પાછી પડે છે.આ વિસ્તારના મુસ્તાક ઈમામભાઇ ઘાંચીના જણાવ્યા મુજબ ગટરના ગંદા પાણીનો નિકાલ કરવા ઉપરાંત જો પાકો રસ્તો બનાવી આપવામાં આવે તો બાળકો અને બુજુર્ગોને બહાર આવવું-જવું હોય તો પરેશાની ના થાય.