કહેવાય છે કે રવિ પાક દરમ્યાન જેટલી વધુ ઠંડી પડે તેટલો વધુ ફાયદો ખેડૂતોને થતો હોય છે.. પરંતુ વર્તમાન સમયમાં પડી રહેલી ઠંડી ખેડૂતો માટે નુકશાનકારક સાબિત થઈ રહી હોવાથી ધરતીપુત્રો ચિંતિત છે.
છેલ્લા એક અઠવાડીયાથી બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે.તાપમાનનો પારો પણ સાત ડિગ્રી સુધી ગગડી ગયો હતો. અને રવિ પાક માટે આશીર્વાદરૂપ સમાન ઠંડી અત્યારે શાપ સમાન બનતી જઈ રહી છે.કારણ કે આ વર્ષે બનાસકાંઠા જીલ્લામાં રવિ સિઝનની શરૂઆત થતાં જ ઠંડીએ જોર પકડ્યું હતું. અને છેલ્લા એક અઠવાડીયાથી તો બનાસકાંઠા જીલ્લામાં સારા એવા પ્રમાણમા ઠંડી પડી રહી છે. પરંતુ રવિ સિઝન માટે આશીર્વાદ રૂપ ઠંડી અત્યારે ખેડૂતો માટે ચિંતાનું કારણ બની છે. કારણ કે ઠંડીની સાથે સાથે હવામાનમાં પણ પલટો આવ્યો છે. અને વાતાવરણ વાદળછાયું થતાં ખેડૂતો ચિંતિત થઈ ગયા છે.. વાદળછાયા વાતાવરણને પગલે રવિ પાકમાં સુકારો આવવા ઉપરાંત મોલોમસી નામની જીવાતનો પણ ઉપદ્રવ સર્જાવાની દહેશત સર્જાઈ છે.
બનાસકાંઠા જીલ્લામાં ઠંડીએ હવે બરાબરનું જોર પકડ્યું છે. અને આજથી હવામાન વાદળછાયું થવાથી ખેડૂતોની ચિંતામાં વધારો થઈ ગયો છે.. ત્યારે વાતાવરણમાં ઉઘાડ નહિ આવે તો ખેડૂતોના ઊભા રવિ પાકમાં સુકારા જેવા રોગોના લીધે ખેડૂતોને મોટું આર્થિક નુકશાન સાબિત થઈ શકે છે.