ચાણસ્મા પાટીદારોને બંધારણીય અનામતની માંગ સાથે છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા આંદોલન દરમિયાન પાટીદારો સામે કરાયેલા રાજદ્રોહ સહિતના કેસો પાછા ખેંચી લેવા સહિતની માંગોને લઇ ઉત્તર ગુજરાત પાસ સમિતિ દ્વારા ગઇકાલ મંગળવારે ગાંધી જયંતિ નિમિત્તે તમામ તાલુકા મથકે પ્રતિક ઉપવાસની જાહેરાત કરાઇ હતી. જે અંતર્ગત બહુચરાજી તાલુકાના પાટીદારો દ્વારા બહુચરાજી હાઇવે પર આવેલી નારણપુરા વાડીમાં પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા અને જ્યાં સુધી માંગણીઓ પૂરે પૂરી નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા લલકાર કરાયો હતો. બહુચરાજીના પાસ કન્વીનર હર્ષદભાઇ એ. પાટીદારે જણાવ્યું કે, અમારી માંગણીઓ, અલ્પેશ કથિરીયાને રાજદ્રોહ સહિતના ગુનામાં જેલ મુક્ત કરો, હાર્દિકના આમરણાંત ઉપવાસ દરમિયાન અને તે પહેલાં રાજ્યભરમાં પાટીદારો પર કરાયેલા તમામ પોલીસ કેસો પાછા ખેંચવા, પાટીદારોની અનામતની માંગણી અંગે સંતોષકારક ન્યાય આપવા તેમજ ખેડૂતોને પોષણક્ષમ ભાવો નહીં મળવાને કારણે દિવસે-દિવસે દેવાદાર બનતાં જાય છે તેવા ખેડૂતોને દેવા માફીનો લાભ આપવાની માંગણી સાથે ગઇકાલે પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા. જેમાં બહુચરાજી તાલુકાના પાટીદાર યુવાનો અને બહેનો પણ સામેલ થઇ હતી. આ આંદોલન જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે ચાલતું જ રહેશે.