ઊંઝામાં ઓઈલ મીલ અને પાણી પકોડીની લારીઓ પર ડ્રગ વિભાગનું કડક ચેકીંગ
ઊંઝા
ઊંઝા ખાતે ગત સોમવારે એક ઓઈલ મીલ ઉપર ફુડ એન્ડ ડ્રગ વિભાગની તપાસ દરમ્યાન રાયડા ઓઈલના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. સાથે સાથે પાણીપુરીની લારીઓનું ચેકીંગ દરમ્યાન મોટાભાગની લારીઓ રજીસ્ટ્રેશન વિના જ ચાલી રહી હોવાનું બહાર આવ્યું હતું. ચેકીંગ દરમ્યાન ત્રણ લારીઓમાંથી ૧૩ લીટર પાણી અને ત્રણ કિલો માવાનો નાશ કરવામાં આવેલ.
આ સંદર્ભે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી કે.આર. પટેલે માહિતી આપતા જણાવેલ કે ફુડ વિભાગને મળેલા પોલીસ રિપોર્ટના આધારે ઊંઝા હાઈવે ચાર રસ્તા પાસે આવેલી વિક્રમ ઓઈલ મીલમાં બે અધિકારીઓની ટીમ ચેકીંગ માટે મોકલવામાં આવી હતી. તેઓએ રાયડા ઓઈલ મીલમાંથી શંકાસ્પદ તેલનો જથ્થો તપાસી તેમાંથી નમુના લઈને લેબોરેટરીમાં તપાસ કરવા મોકલી આપ્યો છે.
બીજી તરફ ફુડ વિભાગ દ્વારા આઠ જેટલી પાણીપુરીની લારીઓનું ચેકીંગ કરાયું હતું જેમાં મોટાભાગની લારીઓ વાળા પાસે રજીસ્ટ્રેશન નામની કોઈ ચીજ ન હતી. જ્યારે ઐઠોર ચાર રસ્તા પાસે જય અંબે પકોડી સેન્ટર પર તથા મુખ્ય બજારમાં ગણેશ પકોડી સેન્ટરમાંથી ૧૩ લીટર ખરાબ પાણી અને ત્રણ કિલો માવાનો નાશ કરાયો હતો.