રાજકોટ: છેલ્લા કેટલાક સમયથી અંગદાનને લઈને લોકોમાં જાગૃતિ આવી રહી છે. લોકો પોતાના સ્વજનને ગુમાવ્યાનું દુઃખ સહન કરીને પણ તેમનું અંગદાન કરી અન્ય લોકોને નવજીવન આપી રહ્યા છે. ત્યારે ટંકારા તાલુકાના ઉમિયાનગર ગામે ગત રક્ષાબંધનના દિવસે રમતા રમતા પડી જતા બ્રેઇન ડેડ થયેલી 16 માસની બાળકીના માતા-પિતાએ આવો જ કપરો નિર્ણય લઈને ચાર લોકોને જીવતદાન આપ્યું હતું. તેમના આ નિર્ણયની ચોમેર પ્રશંસા કરવામાં આવી રહી છે.
ટંકારા તાલુકાના ઉમિયાનગર ગામે રહેતા મનોજ ઘેટીયાની 16 માસની પુત્રી રીયોના રક્ષાબંધનના દિવસે ભાઇને રાખડી બાંધે તે પહેલા જ પડી જતા ગંભીર ઇજાગ્રસ્ત થઈ હતી. માથામાં ગંભીર ઇજા થતા પરિવારે તેણીને રાજકોટની એક પ્રસિધ્ધ ખાનગી હોસ્પિટલમાં સરાવાર અર્થે ખસેડી હતી. પરંતુ સારવાર દરમિયાન જ ડોક્ટરે બાળકીનું બ્રેઇન ડેડ થયાનું જણાવતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. માતા-પિતા ચોધાર આંસુએ રડી પડ્યા હતા.
ડોક્ટરોએ આ રડતા માતા-પિતાને સાંત્વના આપી તેણીના અંગોનું દાન કરવા માટે સમજાવ્યા હતા. ત્યારે માત્ર 16 માસની પુત્રીનું અંગદાન કંઇ રીતે કરવું તે વિચાર્યા વગર ઘેટીયા પરિવારે હિંમત કરી રીયોનાની કિડની અને બંને આંખોનું દાન કર્યું હતું. ત્યારે રીયોનાની આ બંને આંખોથી બે અંધજનોના જીવનમાં અજવાળું પથરાશે અને તેણીની કિડનીઓ થકી પણ બે જેટલા લોકોને નવજીવન મળશે.
ગુજરાતમાં સૌથી નાની દીકરી રિયોનાના અંગનું દાન કરવાની માહિતી મળતા જ રાજકોટની અર્બન ડોનેશન ફાઉન્ડેશનના સદસ્યો હોસ્પિટલ ખાતે આવી પહોચ્યા હતા. તેમજ મૃતક બાળકીના માતા-પિતાને આશ્વાસન આપી તેમના નિર્ણયને વધાવ્યો હતો. બાળકીના પિતા મનોજભાઈ ઘેટિયાએ કહ્યું હતું કે, 4 લોકોને નવજીવન ઉપરાંત અંગદાન માટે લોકોમાં જાગૃતિ લાવવાના આશયથી આ નિર્ણય લીધો છે. તેમજ આવી કપરી ક્ષણોમાં પણ બીજા માટે અંગદાન કરવાની સલાહ પણ તેમણે આપી હતી.