મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે ભાજપે અસમર્થતા દાખવતા રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ હવે શિવસેનાને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું છે.
અગાઉ મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચેની સત્તાની ખેંચતાણમાં નવો વળાંક આવ્યો. ભાજપે રાજયપાલ ભગતસિંહ કોશ્યારીએ આપેલું સરકાર રચવાનું આમંત્રણ નકારી દઈ શિવસેનાને શુભેચ્છા પાઠવી હતી. આ પછી શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે આગામી મુખ્ય મંત્રી શિવસેનાના જ હશે.
જોકે, એમણે શિવસેના સરકાર રચવાનો દાવો ક્યારે અને કેવી રીતે રજૂ કરશે એની કોઈ ચોખવટ ન કરી. એમણે કહ્યું કે, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કહ્યું છે કે આગામી દિવસોમાં શિવસેનાના જ મુખ્ય મંત્રી હશે એટલે આગામી દિવસોમાં કોઈ પણ સંજોગોમાં શિવસેનાના મુખ્ય મંત્રી પદ હેઠળ સરકાર બનશે.
આ દરમિયાન કૉંગ્રેસ નેતા મિલિંદ દેવરાએ કહ્યું હતું કે રાજ્યપાલ ભગત સિંગ કોશ્યારીએ કૉંગ્રેસ-એનસીપીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવું જોઈએ. મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 સીટ છે અને બહુમતી માટે 145 સીટ હોવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 105, શિવસેના 56, એનસીપી 54 અને કૉંગ્રેસને 44 સીટ મળી છે. ભાજપ-શિવસેનાએ સાથે મળીને વિધાનસભાની ચૂંટણી લડી હતી. ગઈકાલે રાજ્યપાલે સૌથી મોટો પક્ષ હોવાને નાતે ભાજપને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું હતું.