આજનાં હળાંહળ કળિયુગમાં અવાર-નવાર નવજાત બાળકને ફુટપાથ પર તરછોડી, કચરાપેટીમાં કે ગટરમાં ફેંકી માતાની મમતાને લજાવતી ઘટના સામે આવે છે. ત્યારે વરાછાનાં બરોડા પ્રિસ્ટેજમાં ફુટપાથ પર બેસી કપડાનો સ્ટોલ ચલાવી ગુજરાન ચલાવતા દંપતિએ નાત-જાતનાં ભેદભાવ વિના માસુમ બાળાને દત્તક લઈ સમાજને નવી રાહ ચિંધી છે.
મૂળ મહેસાણાનાં કુણગેર ગામનાં વતની યોગેશ બારોટ અને તેમનાં પત્ની બીજલ બારોટ છ મહિનાથી બાળકીને સગી જનેતાની જેમ સાર-સંભાળ કરી રહ્યાં છે. અને ગતરોજ સમાજની હાજરીમાં સમારોહ યોજી વિધિવત બાળકીને દત્તક લઇ બાળકીનું “ત્રિષા નામ રખાયું હતું.
યોગેશ બારોટને ત્યાં સામાન પહોંચાડવા આવતા મૂળ બનારસી રિક્ષાચાલક એવા મિત્ર રિન્કુસિંઘની બહેનનાં પતિનું થોડાં સમય પૂર્વે અવસાન થયું હતું. આ સમયે તેણીને છ મહિનાનો ગર્ભ હતો. પતિનું અવસાન થતાં તેણી માનસિક સંતુલન ગુમાવી બેઠતાં તેણીને સારવાર-દેખરેખ માટે સુરત લાવવામાં આવી હતી. તેણીની ખરાબ માનસિક સ્થિતિનાં કારણે પરિવાર ચિંતામાં હતો કે બાળકનાં જન્મ બાદ તેની સંભાળ કોણ રાખશે. આ સમયે રિન્કુસિંઘે મિત્ર યોગેશ બારોટને પોતાની વ્યથા વર્ણવી હતી. આ વાત બાદ બારોટ પરિવારે બાળકને દત્તક લઈ તેની જવાબદારી સભર ઉછેર કરવા નિર્ણય લઈ બાળકીને દત્તક લીધી હતી.
બાળકીનાં પાલક પિતા યોગેશ બારોટ જણાવ્યું હતું કે, આમારા લગ્નને 10 વર્ષ થયાં છતાં અમારે ત્યાં શેર માટીની ખોટ હતી. આ દરમિયાન રિન્કુસિંઘે એક દિવસ તેની બહેન સાથે બનેલી ઘટનાં અંગે વાત કરી હતી. નાની વયે વિધવા અને ગર્ભમાં બાળક હોવાથી પરિવારને તેણીનાં બીજા લગ્ન કરવામાં પણ મુશ્કેલી ઉભી થાય તેવી વાત હતી. આ અંગે મારી માતા સાથે ચર્ચા કરી અમે બાળકીને દત્તક લેવા નિર્ણય કર્યો હતો. બાળકીને દત્તક લેવા માટે બંને પરિવારની હાજરીમાં વિધિવત કાર્યવાહી કરવામાં આવી છે.