મુંબઈ બાંન્દ્રા કુર્લા કોમ્પલેક્સમાં ઓફીસ ધરાવતા ધાનેરાના એક જૈન વેપારીનો દલાલ તૈયાર હીરાનો જથ્થો લઈને પલાયન થઈ ગયો છે. આ વેપારી દ્વારા સુરત તેમજ મુંબઈમાં રફ ડાયમંડનું જાબવર્ક કરાવીને હીરા તૈયાર કરાવવામાં આવતા હતા. નાસી છુટુલો દલાલ પણ ધાનેરાનો જ વતની હોવાનું જાણવા મળ્યું છે.
હીરા બજાર સાથે સંકળાયેલા વર્તુળો પાસેથી મળતી વિગતો અનુસાર, ધાનેરાના વતની એવા એક જૈન વેપારી દ્વારા પોતાને ત્યાં વર્ષોથી કામ કરતા દલાલ સોમીલને બે દિવસ પહેલા સેલ કરવા માટે છ હજાર કેરેટ તૈયાર હીરા આપવામાં આવ્યા હતા. આ તમામ ડાયમંડ માર્કેટમાં સેલ કરવાને બદલે સોમીલે પોતાની પાસે રાખી લીધા હતા. અને બાદમાં તે મોકો જાઈને નાસી છુટ્યો છે. અંદાજે રૂપિયા ૧પ કરોડની કિંમતના તૈયાર હીરા લઈને પલાયન થઈ ગયેલા સોમીલના આ કારનામા અંગે જૈન વેપારીને જાણ થતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. હાલમાં સોમીલને શોધવા માટેના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. મુંબઈ બાંન્દ્રા કુર્લા કોમ્પલેક્સ ખાતેથી જ આ તૈયાર હીરા સોમીલે લીધા હતા અને ત્યાંથી સીધો વેપારીને ત્યાં જવાને બદલે બારોબાર પલાયન થઈ ગયો હતો.
આ હીરા દલાલ સુરત તરફ ભાગીને આવ્યો છે કે પછી અમદાવાદ ? તે અંગેની અટકળો મુકવામાં આવી રહી છે કેટલાક લોકો એવું પણ જણાવી રહ્યા છે કે તે જયપુર નાસી છુટ્યો છે અને તેણે તૈયાર હીરાનો તમામ જથ્થો રોકડેથી ફુંકી દઈને રોકડી કરી લીધી છે. હીરાના વેપારી દ્વારા સોમીલને શોધવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.