મુંબઈ : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર ચરમસીમા પર છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મોરચા સંભાળી લીધા હતા. ચૂંટણીના એક સપ્તાહ પહેલા જ મોદીએ મહારાષ્ટ્ર મિશન હાથ ધરીને ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કર્યો હતો. મિશન મહારાષ્ટ્ર પર રહેલા મોદીએ આજે જલગાંવ અને ભંડારામાં ચૂંટણી પ્રચાર કરીને કોંગ્રેસ પાર્ટી અને એનસીપી પર પ્રહાર કર્યા હતા. ધમાકેદાર ચૂંટણી પ્રચારની શરૂઆત કરતા મોદીએ કલમ ૩૭૦, ૩૫એ, ત્રિપલ તલાક જેવા મુદ્દા પર વિપક્ષને ઘેરતા પોતાના ઘોષણાપત્રમાં આ ઐતિહાસિક નિર્ણયોને બદલી દેશે તેમ લખીને બતાવવા કોંગ્રેસ અને વિરોધીઓને પડકાર ફેંક્યો હતો. ભારતના નવા જાશને સમગ્ર દુનિયા નિહાળી રહી છે. ૩૭૦ પર કોંગ્રેસને ખુલ્લો પડકાર ફેંક્યો હતો અને આ મુદ્દે વલણ સ્પષ્ટ કરવા માટે પણ પડકાર ફેંક્યો હતો. ૩૭૦ પર ઐતિહાસિક નિર્ણયને બદલી નાંખશે તેમ ઘોષણાપત્રમાં લખી બતાવવા પડકાર ફેંક્યો હતો. મોદીએ કહ્યું હતું કે, વિપક્ષ માત્ર દેખાવા પુરતા વિરોધ પ્રદર્શન કરીને લોકોને ગેરમાર્ગે દોરે છે. પાકિસ્તાનના નામનો ઉલ્લેખ કર્યા વગર તેમણે કોંગ્રેસ પર પડોશી દેશની ભાષા બોલવાનો આક્ષેપ કર્યો હતો. પોતાના ભાષણની શરૂઆતમાં મોદીએ કહ્યું હતું કે, નવા ભારતના જુસ્સાને સમગ્ર દુનિયા જાઈ રહી છે અને મજબૂતી સાથે સાંભળી પણ રહી છે.