<div> ડીસા : બનાસકાંઠાની થરાદ અને પાટણ જિલ્લાની રાધનપુરની ખાલી પડેલી વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી પ્રક્રિયાનો વિધિવત રીતે પ્રારંભ થઇ ગયો છે. જોકે હજુ ભાજપ કે કોંગ્રેસે પોતાના સત્તાવાર ઉમેદવારો મામલે મગનું નામ મરી પાડયું નથી જેથી ટીકીટ ફાળવણી મામલે હજુ ઉત્સુકતા પ્રવર્તી રહી છે.</div> <div> સામાન્ય રીતે ઉત્તર ગુજરાતની ત્રણ પૈકી મહત્વની મનાતી થરાદ અને રાધનપુર એમ બે બેઠકોના ઉમેદવાર પસંદ કરવા ભાજપ માટે ઝાઝુ મુશ્કેલ કામ નથી. રાધનપુર બેઠક માટે પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું નામ નિશ્ચિત જ મનાઈ રહ્યું છે જ્યારે થરાદ બેઠક પર છેલ્લી ઘડીએ પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી તેમજ સાંસદ પરબતભાઇ પટેલના પુત્ર શૈલેષભાઇ પટેલ એમ બે જ દાવેદારોના નામ ઉપસી આવ્યા છે. છતાં ભાજપની રણનીતિ છેલ્લી ઘડીએ ચકમો આપતી હોઈ હાલ આ બન્ને મત વિસ્તારોમાં ભાજપના સત્તાવાર ઉમેદવારોના નામ જાણવાની તાલાવેલી વધી રહી છે. આવી સ્થિતિમાં આજે મળનારી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ગુજરાતની પેટાચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પર મંજૂરીની મહોર મરાય તેવી પુરી શકયતા છે. જા કે, ભાજપના સત્તાવાર ઉમેદવારોના નામ છેલ્લી ઘડીએ જાહેર કરાય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.</div> <div> વાત કરીએ હાલ ચર્ચાતા નામોની તો, પૂર્વ મંત્રી અને હાલ બનાસ ડેરીનું સુકાન સંભાળી રહેલા શંકરભાઇ ચૌધરી માટે વાવ કરતા થરાદ મતવિસ્તાર જીત માટે એકદમ આસાન હોઈ ભાજપ થરાદ બેઠક પર શંકરભાઇ ચૌધરી પર જ પસંદગીનો કળશ ઢોળે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યુ છે.જોકે ભાજપ મોવડી મંડળ કોઈ પણ બેઠક પર જોખમ લેવાના મૂડમાં ના હોઈ થરાદમાં સ્થાનિક ઉમેદવારનીપસંદગીની માંગ તેમજ રાધનપુરમાં અલ્પેશ ઠાકોરની સંભવિત પસંદગી સામે ઉઠી રહેલા વિરોધ વંટોળ વચ્ચે ભાજપ મોવડી મંડળ છેલ્લી ઘડીએ હુકમના પત્તાં ઉતરી કોંગ્રેસની બાજીને જ ધૂળમાં મેળવી દે એવી શક્યતાઓને પણ નકારી શકાતી નથી. થરાદ, રાધનપુર અને ખેરાલુ એમ ત્રણેય બેઠકો કબજે કરવા ભાજપ ગેમપ્લાન બદલી છેલ્લી ઘડીએ શંકરભાઇ ચૌધરીને રાધનપુર, શૈલેષભાઇ પટેલને થરાદ તેમજ અલ્પેશ ઠાકોરને ખેરાલુ લડાવે તેવી શક્યતાઓ પણ જણાઈ રહી છે.</div> <div> ભાજપના ઉમેદવારોના નામ જાહેર થવાની હવે ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે ભાજપ જો અલ્પેશ ઠાકોરને રાધનપુર બેઠક પરથી મેદાનમાં ઉતારે તો અલ્પેશ માટે કપરા ચઢાણ હોઈ આ બેઠક પર જોખમ સર્જાઈ શકે છે.વળી, રાધનપુર મતવિસ્તારમાં ઠાકોર સેના જ અલ્પેશ ઠાકોરનો ખુલ્લો વિરોધ કરી કોઈ મજબૂત અપક્ષ ઉમેદવારને મેદાનમાં ઉતારવાની વેતરણમાં હોવાના અહેવાલો પણ બહાર આવ્યા છે. અપક્ષ ઉમેદવારી માટે સ્થાનિક અગ્રણી મગનજી ઠાકોરનું નામ પણ બહાર આવી રહ્યુ છે. આ અને આવા બીજા કારણો ભાજપની રણનીતિ છેલ્લી ઘડીએ બદલાવી દે તો પણ નવાઈ નહિ લાગે.</div>