અમદાવાદ ખાતે આવેલ ર્સ્ટલિંગ હોસ્પિટલના ખ્યાતનામ હાર્ટ સ્પેશિયાલિસ્ટ તબીબ તુષાર પટેલનું છાપી નજીક માર્ગ અકસ્માતમાં મોત નિપજતાં તબીબ આલમમાં શોકનું વાતાવરણ પ્રસરી ગયું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ ના ખ્યાતનામ તબીબ તુષાર પટેલ તેમના નવીન મકાનના વાસ્તુ પ્રસંગે સ્નેહીજનોને આમંત્રણ પત્રિકા આપવા શનિવારે ઉત્તર ગુજરાત આવ્યા હતા. પરત ફરતી વખતે છાપી હાઇવેથી અમદાવાદ જવા પસાર થઈ રહયા હતા. દરમિયાન ધારેવાડા પાસે અચાનક એક કાળમુખી ટ્રક રોંગ સાઈડથી આવી તબીબની કારને જોરદાર ટક્કર મારતા કારમાં સવાર ડોકટર તુષાર પટેલ સહિત કાર ચાલક બ્રિજેશ યાદવનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે તબીબની સાથે આવેલ તેમના પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સિધ્ધપુર જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે અમદાવાદ ખસેડયો હોવાનું જાણવા મળે છે. મૃતુક તબીબ સહિત તેમના ડ્રાઈવરના શબનું જનરલ હોસ્પિટલ સિધ્ધપુર ખાતે પીએમ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. યુવા તબીબના આકસ્મિક મોતના સમાચારથી તબીબ આલમમાં ઘેરાશોકની લાગણી છવાઈ ગઈ હતી.