થરાદના મામલતદારે અનઅધિકૃત રીતે દુકાનમાં રખાયેલા ૧૦ બાટલા સીઝ કર્યા
રખેવાળ ન્યુઝ થરાદ : થરાદના મામલતદાર એન. કે. ભગોરા મંગળવારની સાંજે થરાદના વિજય બિઝનેસ સેન્ટર પાસેથી પસાર થયા હતા. દરમિયાન તેમની નજર બાજુમાં આવેલી એગ્રોની દુકાન પર પડી હતી. જેની આગળ ગેસના બાટલા પડેલા જોતાં મામલતદારે દુકાન માલિકની પુછપરછ કરતાં તેને ધ્યાન નહી આપતાં મામલતદારે તેને કાયદાનું જ્ઞાન કરાવવા માટે દુકાન માલિકને ફરીથી સ્ટોકપત્રકની અને લાયસન્સ (અધિકારપત્ર)ની માંગણી કરતા તેણે ગલ્લા તલ્લા કર્યા હતા. વળી મામલતદારે ફાયર સેફટી અંગે ચકાસણી કરતાં ૨૦૧૮માં પૂરું થયું હતું. આ અંગે મામલતદારે જણાવ્યું હતું કે વધુ તપાસ કરતાં દુકાનમાંથી રિલાયન્સ કંપનીના છ ભરેલા બાટલા મળી આવ્યા હતા. જે બાટલા ડીસાથી લાવીને વેચાણ કરવામાં આવતા હતા. ચાર બાટલા ખાલી મળી આવ્યા હતા. તેમજ એગ્રોની દુકાનની આડમાં બાટલાનું વેચાણ કરવામાં આવતું હતું. જેની બાજુમાં થિયેટર હોઇ લોકોની ભીડભાડ અને અવરજવર હોય છે. આવા સમયે કોઇ દુર્ઘટના અથવા સુરત જેવી કોઇ પ્રકારની ઘટના સર્જાય તો શું પરિસ્થિતિ સર્જાય તે અંગે તે વાવના ઢીમા ગામના આ વ્યક્તિને બરાબરનો ખખડાવ્યો હતો. તેમજ ગેરકાયદેસર રીતે ચલાવતા આ ધંધાની સામે લાલ આંખ કરી હતી. અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની જોગવાઈ મુજબ એક્સપ્લોઝીવ એક્ટ મુજબ દુકાનમાંથી ભરેલા છ તથા ચાર ખાલી બાટલા સહિત ચીજવસ્તુઓ સીઝ કરી હતી. અને યુવક સામે કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાથી ફફડાટની લાગણી પ્રસરી જવા પામી હતી