ભાવનગર: બોટાદમાં બુધવારે સાંજે મહિલા સાથેના સંબંધના મામલે બે મિત્રોએ જ મિત્રની છરીના ઘા ઝીંકી હત્યા કર્યાનો બનાવ બન્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ બોટાદ શહેરના ઢાંકણીયા રોડ પર પર રહેતા અને બોટાદ આઈ.ટી.આઈ.માં પટ્ટાવાલા તરીકે ફરજ બજાવતા માત્રાભાઈ ગમારભાઈ મોરીને બુધવારે સાંજે તેના જ બે મિત્રો કાનો ઉર્ફે કૃષ્ણપાલ અને ભોલો ઉર્ફે મહેન્દ્રને મહિલા સાથેના સબંધને લઇ બોલાચાલી થઈ હતી. જેમાં બંને શખ્સો માત્રાભાઈ પર છરી વડે જીવલેણ હુમલો કરી નાસી છૂટ્યા હતા. આ તરફ માત્રાભાઈને ગંભીર હાલતમાં બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવના પગલે પોલીસે બંને શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી બન્નેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવે વધુ એક વખત બોટાદમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સવાલો સર્જ્યા છે.