સિદ્ધપુરઃ સિદ્ધપુરના ખળી ચાર રસ્તા થી રેલવે ફાટકથી ખેરાલુ રોડ પર બની રહેલા ઓવર બ્રીજની કામગીરી શરુ થવા જઇ રહી છે ત્યારે નવરાત્રીથી રોડ પર આવતા ગાયકવાડ સમયના સરકારી નિશાની વાળા 188 લીમડાનું નિકંદન નીકળી રહ્યું છે જેને લઇ લોકોમાં રોષ ફેલાઇ રહયો છે. આ વૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટ થયું હોત તો સારું હતું તેવો સૂર વ્યકત થઇ રહયો છે.
ઓવર બ્રિજ નું કાર્ય અંદાજીત બે-વર્ષ ચાલવાનું હોય એને લઇ અત્યાર થીજ ડાયવરર્જન બિન્દુસરોવર, ઓવરબ્રિજ,ગોવિંદમાધવ સોસાયટી,લાલપુર,બિલિયા માર્ગે થઈ ખેરાલુ અપાયો છે. આ સબંધે ફોરેસ્ટ અધિકારી ભરત પટેલ ના જણાવ્યા મુજબ ભોપાલથી વૃક્ષ છેદન (મંજૂરી) પત્ર આવ્યા બાદ પુનઃ પ્રક્રીયા હાથ ધરાઈ છે.ગાયકવાડ સમયના લીમડા કપાયા બાદ ફોરેસ્ટ ખાતામાં રહેશે.ઓવર બ્રિજનું સ્થળ ઉપર કામકાજ સંભાળતા રઘુભાઈ પટેલ જણાવે છે કે રેલવે ઓવર બ્રિજ ફોરલાઈન બનશે. છેલ્લા બે વર્ષ થી કાર્ય અધ્ધરતાલ હતું, પણ હવે પ્રારંભ કર્યો છે જે અંદાજીત 2 વર્ષ માં પૂર્ણ થશે.
વૃક્ષ કાપવાનો કોન્ટ્રાકટ રાખનાર રમેશભાઈ ચૌધરીના કહેવા મુજબ રોડના 12 થી 13 મીટરમાં આવતા વૃક્ષ કાપવાનો કોન્ટ્રાકટ મળ્યો છે,જેમાં 95% સરકારી પટ્ટા (નિશાન) વાળા લીમડા છે.રોડથી 15 મીટર ઉપરના ઝાડ નથી કાપવાના.જોકે વૃક્ષો કાપવા સામે શહેરીજનોમાં નારાજગી છે. કેટલાક લોકોએ કહ્યું કે હાઇવે બને પણ જુના વૃક્ષો ન કાપવા જોઇએ.