સુરતઃ મોતના સોદાગર તો ખરેખર આને કહેવાય જે માસૂમ બાળકીની મોતની કિંમત રૂ. 4.50 લાખ કરવા નીકળ્યા હતા. સુરતમાં ગરીબોની મજાક ઉડાવતો એક કરુણ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગઈ તા. 23મીએ બપોરે એક વાગ્યે ન્યૂ સિટી લાઇટ રોડ પર બીઆરટીએસના વેલકમ ગેટનો સ્લેબ ભરતી વખતે આ સ્લેબ તૂટવાની દુર્ઘટના બની હતી. જેમાં ત્રણ વર્ષની માસૂમ-નિર્દોષ બાળકી રોશનીનું દબાઈ જવાથી મૃત્યુ થયું હતું. આ ઘટનામાં કોન્ટ્રાક્ટર સામે ગુનો ન નોંધાય તે માટે કોન્ટ્રાક્ટરે રૂ. 2.50 લાખથી શરૂ કરી છેલ્લે રૂ. 4.50 લાખની ઓફર કરી હતી. જોકે, ગરીબ પરિવારે કોન્ટ્રાક્રની આ ઓફર ફગાવી દીધી હતી અને ગુનો નોંધાવ્યો હતો.
મૂળ દાહોદ જિલ્લાના ગરીબ પરિવારના રુપસિંગભાઈ આ જગ્યાએ સ્લેબ ભરવાનું કામ કરી રહ્યા હતા ત્યારે તેમની પુત્રી રોશની ત્યાં રમતી હતી. દરમિયાન સ્લેબ તૂટતા રૂપસિંગભાઈ તો દબાયા જ પરંતુ ત્યાં રમી રહેલી તેમની બાળકી રોશની પણ દબાઈ ગઈ હતી. જેથી રોશનીનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે રૂપસિંગભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
બાળકીનું મોત થતાં મામલો ખટોદરા પોલીસ મથક પર પહોંચ્યો હતો. જ્યાં તા. 23મીએ મોડી રાત્રે કોન્ટ્રાક્ટર ભરતના ચાર માણસો પહોંચી ગયા હતા અને બાળકી જે સમાજની હતી તે ભીલ સમાજના આગેવાનો સાથે વાત કરી હતી.ગુનો ન નોંધાવવાના બદલામાં પહેલા રૂ. 2.50 લાખ આપવાની વાત કરી. પછી રૂ. 3.50 લાખ અને છેલ્લે રૂ. 4.40 લાખ આપવાની વાત કરી. આ રીતે બાળકીના મોતની કિંમત રૂ. 4.50 લાખ આંકી આ ચારેય લોકો ત્યાંથી રવાના થઈ ગયા હતા. ભીલસમાજના આગેવાનોએ આ ઓફર ઠુકરાવી દેતાં આખરે ગુનો નોંધાયો હતો.
તો બીજી બાજુ આ પરિવારની ગરીબી એટલી હતી કે બાળકીના મૃતદેહને વતનમાં લઈ જવાના પૈસા પણ ન હતા. તેવા સમયે ભીલસમાજના આગેવાનનોએ ફંડ એકત્ર કરી રૂ. 5 હજાર ભેગા કર્યા અને સમાજના ફંડમાંથી રૂ. 5 હજાર આપ્યા. આ રીતે સમાજના રૂ. 10 હજાર લઈ બાળકીના મૃતદેહને વતન લઈ જવાયો હતો. સુરત મહાનગર પાલિકાના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટર માનવતા મહેકાવવાનો મોકો ચૂકી ગયા હતા અને ગરીબ પરિવારને એમમ્બ્યુલન્સની સગવડ પણ કરી આપી ન હતી.