ડીસા : બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ડેન્ગ્યુ સહિતની વાઇરલ બીમારીઓ એ માથું ઉચકયું છે ત્યારે ડીસામાં આરોગ્ય વિભાગે તમામ ૮૨ સોસાયટીમાં સઘન ચકાસણી હાથ ધરી લોકોને બીમારીઓથી બચવા વિસ્તૃત માર્ગદર્શન પણ આપ્યું હતું.
ડેન્ગ્યુ સહિતની વાઇરલ બીમારીને નાથવા માટે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનીષ ફેન્સી અને જિલ્લા મલેરિયા અધિકારી એન. કે.ગર્ગના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા આગોતરા આયોજનના ભાગ રૂપે ૮૨ સોસાયટીમાં આરોગ્ય કર્મચારીઓ ઘરે ઘરે ફરીને ડેન્ગ્યુ વિશેની જાણકારીના પેમ્ફલેટની વહેંચણી કરવામાં આવી હતી અને દરેક ઘરમાં ડેન્ગ્યુના મચ્છર ચોખા પાણીમાં ઇડા મૂકે છે અને ઘરોમાં રહેલા કુલર, એસી, ફ્રિજ, ફૂલના કુડા વગેરેમાં જાત તપાસ હાથ ધરી હતી અને દર અઠવાડીયે એક દિવસ મચ્છર નાબુદી દિવસ તરીકે ઉજવવાની સમજ આપતા આવા તમામ પાત્રોને અઠવાડિયે એક વાર સાફ કરી પછી જ ઉપયોગમાં લેવાની શીખ પણ આપી હતી. આ તમામ કામગીરી ડીસા તાલુકા હેલ્થ ઓફિસર જીગ્નેશ હરિયાણીના સુપરવિઝન હેઠળ હસમુખભાઈ પંચાલ અને નિરંજન ઠક્કર તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
ડીસા તાલુકા હેલ્થ ઓફિસર ડા. જીજ્ઞેશ એચ. હરિયાણીએ જણાવ્યું હતું કે, માથાનો દુખાવો, તાવ, શરીરમાં કળતરા અને લાલ ચકામા ડેન્ગ્યુના લક્ષણો છેપણ તેનાથી ગભરાવવાની કોઈ જરૂર નથી તે માટે સરકારી ડોકટરની સલાહ લેવી અને સારવાર બાદ પાંચ દિવસ આરામ કરવો તેમજ વધારે પાણી પીવું અને ઘરને જંતુ મુક્ત રાખવાની પણ સલાહ આપી હતી.