જામનગરઃ જામનગર શહેરમાં એક ઐતિહાસિક બૌધ્ધ ધમ્મ દિક્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતાં અને બુધ્ધમ શરણમ ગચ્છામીના નાદથી જામનગર બૌધ્ધમય બન્યું હતું અને હજારોની સંખ્યામાં તથાગત બુદ્ધ અને બાબા સાહેબના અનુયાયીઓની વચ્ચે દિક્ષાર્થીઓએ દિક્ષા લીધી હતી અને બાબા સાહેબે આપેલી ૨૨ પ્રતિજ્ઞા બોલીને માનવતાવાદી ધમ્મમાં દિક્ષાર્થીઓએ પ્રવેશ કર્યો હતો.જામનગરના આમ્રપાલી બુદ્ધ વિહાર આયોજીત ધમ્મ દિક્ષા મહોત્સવ-૨૦૧૯ સર્વજન દલિત સમાજની જગ્યા કોમલ નગર સામે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર, રાજકોટ, દ્વારકા સહિત ગીરસોમનાથના લોકોએ દિક્ષા લીધી હતી. જેમાં સવારે ૯ વાગ્યે ડો. બાબાસાહેબ આંબેડકર સ્ટેચ્યુ, લાલ બંગલો સર્કલથી ભવ્ય ધમ્મ કારવા દિક્ષા સ્થળ સુધી યોજાઇ હતી અને બપોરે ૧૨ વાગ્યે આશરે ૨૮૮ દિક્ષાર્થીઓ ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ-૨૦૦૩ અને ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય નિયમો-૨૦૦૮ હેઠળ મંજૂરીની પ્રક્રિયા કરીને બૌદ્ધ ધર્મની દિક્ષા લીધી હતી. આ દિક્ષા મહોત્સવમાં બૌદ્ધ ધમ્મના આંતરરાષ્ટ્રીય ધર્મગુરૂ મૂળ જાપાનના ભદન્ત આર્ય નાગાર્જુન સુરઈ સસાઈજી, દિક્ષા ભૂમિ નાગપુરથી તથા ચંદ્રમણી બુદ્ધ વિહાર નાગપુરથી ભદન્ત ધમ્મસારથીજી અને ધ ગ્રેટ અશોકા બુદ્ધ વિહાર પોરબંદરથી ભીક્ખુ પ્રજ્ઞા રત્નજી ધમ્મ ઉપસ્થિત રહી દીક્ષા આપી હતી.