ડીસા : ડીસા તાલુકાના ભોંયણ ગામે વસવાટ કરતા વાલ્મિકી સમાજના ત્રણ પિતરાઈ ભાઈ ઓના શનિવારે અકસ્માતમાં અકાળે મોત નિપજ્યા હતા અને રવિવારે તેમની અંતિમ યાત્રા નીકળતા સમગ્ર ભોંયણ ગામ હિબકે ચડયુ હતું.
આ અંગેની વિગત જોતા ભોંયણ ગામે રહેતા અને ઈંટવાડામાં મજૂરીકામ કરતા રાજુભાઇ મંછાભાઈ વાલ્મિકી, ઉંમર ૩૫ વર્ષ, હીરાભાઈ મનાભાઈ વાલ્મિકી ઉંમર ૩૮ વર્ષ અને લક્ષમણભાઈ મનાભાઈ વાલ્મિકી ઉંમર વર્ષ ૩૫ અને વિરચંદભાઈ છગન ભાઇ વાલ્મીકી ઉંમર ૩૨ આ તમામ શનિવારે દાંતીવાડા નજીક આવેલ જેગોલ ગામેથી ટ્રકમા ઈંટો ભરી હાઇવે પર મારવાડા ગામ નજીક સાંજે ૪ વાગ્યાની આસપાસ પસાર થતા હતા. તે દરમિયાન અચાનક ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટ્રક રોડ સાઈડ ઉતરી પલટી ખાઈ ગઈ હતી અને ટ્રકની ઉપર બેઠેલ આ તમામ મજૂરો ઈંટોની નીચે આવી જતા ચગદાઈ જવાને લીધે રાજુભાઇ મંછાભાઈ વાલ્મિકી,હીરાભાઈ મનાભાઈ વાલ્મિકી અને લક્ષમણભાઈ મનાભાઈ વાલ્મિકીના સ્થળ ઉપર જ કરુંણ મોત નિપજ્યા હતા જ્યારે વિરચંદભાઈ છગનભાઇ વાલ્મિકીને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવી પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો આવી ટ્રક નીચે ફસાયેલ આ ત્રણની લાશને પી એમ અર્થે દાંતીવાડા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં પરિવાજનોના કરુંણ આક્રંન્દથી સમગ્ર માહોલ ગમગીન બની ગયો હતો અને રવિવારે ત્રણની લાશને તેમના વતન ભોંયન ખાતે લાવવા માં આવતા સમગ્ર ગામ માં રોકકળ અને આક્રંન્ડ વચ્ચે ત્રણ મૃતકો ની અંતિમયાત્રા નીકળતા સમગ્ર ગામલોકો આ સ્મશાન યાત્રા માં જોડાયા હતા.આશાસ્પદ એવા યુવાન પિતરાઇ ભાઈઓના એક સાથે મોત નીપજતા પરિવારજનોએ છત્રછાયા ગુમાવી હતી.