બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ માંડ માંડ બચી : અનેક લોકોને ઇજા : ૧ની ધરપકડ
ન્યુઝીલેન્ડની સાઉથ આઇસલેન્ડ સીટીની બે મસ્જિદો ઉપર ભયાનક હુમલો થયો છે. થયેલા અંધાધૂંધ ફાયરીંગમાં પ્રારંભિક અહેવાલો મુજબ ૨૭ વ્યકિતના મોત થયા છે અને અનેક લોકોને ઇજા થઇ છે. જ્યારે ગોળીબાર થયો ત્યારે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમના ૬ થી ૭ ખેલાડીઓ પણ મસ્જિદમાં હાજર હતા અને તેઓ માંડ માંડ બચ્યા છે. આ ઘટના અંગે ન્યુઝીલેન્ડના પોલીસ વડાએ કહ્યું છે કે, ગનમેને બે મસ્જિદ ઉપર હુમલો કર્યો છે. જેમાં અનેક લોકોના મોત થયાની આશંકા છે. જોકે,પોલીસે એક વ્યકિતની ધરપકડ કરી છે. બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ હાલ ન્યુઝીલેન્ડના પ્રવાસે છે. જો કે ટીમને કોઇ નુકસાન થયું નથી. આવતીકાલે મેચછે. બાંગ્લાદેશના ખેલાડી નમાઝ માટે મસ્જિદ ગયા હતા પરંતુ એ દરમિયાન એક બંદુકધારીએ અચાનક ફાયરીંગ શરૂ કર્યું હતું. જો કે કોઇ ખેલાડીને ઇજા થઇ નથી. સુરક્ષિત રીતે તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. અલ નુર મસ્જિદ શહેરની વચ્ચે આવેલી છે. ફાયરીંગથી સમગ્ર શહેરમાં દહેશતનો માહોલ છે. મળતા અહેવાલો મુજબ હુમલાખોર કાળા કપડામાં હેલ્મેટ પહેરી મસ્જિદમાં ઘુસ્યો હતો અને જે લોકો નમાઝ પઢતા હતા. તેમના પર ફાયરીંગ શરૂ કર્યું હતું. તેની પાસે ઓટોમેટીક ગન હતી અને તે અંધાધૂંધ ફાયરીંગ કરવા લાગ્યો હતો. ન્યુઝીલેન્ડ પોલીસે બાદમાં આસપાસના વિસ્તારને ઘેરી લીધો હતો અને બધી સ્કુલો બંધ કરાવી હતી. લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી હતી. વડાપ્રધાન અર્ડને કહ્યું છે કે, આ ઘટના ન્યુઝીલેન્ડ માટે કાળા દિવસ સમાન છે. ઘટના નજરે નિહાળનારા લોકોનું કહેવું છે કે, શૂટરની ગોળીથી બચવા લોકો ભાગવા લાગ્યા હતા.