ઉત્તર ગુજરાતમાં અગાઉ અનેક નેતાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. આ દિગ્ગજ નેતાઓ કોઇને કોઇ કારણસર મીટીંગ કરી ભાજપમાં પ્રવેશ લીધો હતો. જોકે કોંગ્રેસમાં જે તે પદ અને દબદબો ભોગવતા નેતા ભાજપમાં જોડાયા ત્યારથી ખાસ મેળવી શક્યા નથી. આ પૈકી કેટલાકને નિગમમાં ચેરમેન કે સભ્ય સાથે અન્ય હોદ્દા મળવાની વાત અધ્ધરતાલ રહી છે. આવી સ્થિતિમાં ભાજપમાં જોડાયેલા ઉત્તર ગુજરાતના નેતાઓના હાલ-એ-ખબરનો સ્પેશ્યલ અહેવાલ.રાજકીય એપી સેન્ટર ગણાતા મહેસાણા જીલ્લામાં પુર્વ કોંગ્રેસી જીવાભાઇ પટેલ, રેખાબેન ચૌધરી, પી.આઇ.પટેલ, અજમલજી ઠાકોર, રામાજી ઠાકોર, રમીલાબેન દેસાઇ અને બી.એસ.પટેલે કેસરિયો ધારણ કર્યો હતો. આ નેતા કોંગ્રેસમાં અગાઉ ડેલીકેટથી માંડી સાંસદ સુધીના હોદ્દા પર હતા. આ પછી ભાજપમાં સમય અને સંજોગો મુજબ જરૂરીયાતને આધિન જોડાઇ ગયા છે. જેમાં ખાસ કરીને નિગમની રાહ જોતા જીવાભાઇ પટેલ ભાજપના જાહેર કાર્યક્રમમાં ખુબ જ ઓછા નજરે ચડે છે.આ પછી પાટણ જીલ્લામાં બળવંતસિંહ રાજપૂત સિવાય કોઇ પુર્વ કોંગ્રેસીને ભાજપમાં જોડાયા બાદ ભારે ભરકમ હોદ્દો મળ્યો નથી. જેમાં ખાસ કરીને અલ્પેશ ઠાકોરને રાધનપુરની ચુંટણીમાં ઉમેદવાર સિવાય હજુ સુધી કોંગ્રેસની જેમ દબદબો ધરાવતો હોદ્દો મળ્યો નથી. આ સાથે જોધાજી ઠાકોર, રઘુ ઠક્કર અને બાબુભાઇ ચૌધરી સહિતના ભાજપમાં જોડાયા બાદ પાર્ટી કે અન્ય સ્થાને હોદ્દો મેળવી શક્યા નથી. જ્યારે બનાસકાંઠા જીલ્લામાં મોટાગજાના કોંગી નેતા ભાજપમાં જોડાયા ન હોવાથી રીપોર્ટ નીલ આવ્યો
.