વડગામ તાલુકા પંચાયત દ્રારા વડગામ તાલુકા ની ૪૬ ગ્રામ પંચાયતોના તલાટીઓને વારંવાર વેરા વસુલાત કરવાની સૂચનાઓ આપવા છતાં કામગીરી ન કરતા નબળી કામગીરી કરવા બદલ તલાટીઓને નોટિસો ફટકારતાં તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ વડગામ તાલુકાની ૪૬ ગ્રામ પંચાયતો દ્રારા વેરા વસુલાતની કામગીરી ૫૦ ટકા કરતા ઓછી કરાતા વડગામ તાલુકા વિકાસ અધિકારી દ્રારા નોટિસો ફટકારતા તલાટી આલમમાં ફફડાટ વ્યાપી ગયો હતો.અગાઉ તાલુકા વિકાસ અધિકારી દ્રારા મીટીંગો તેમજ ટેલિફોનિક સહિત વોટ્સએપ મેસેજ દ્રારા જણાવવામાં આવ્યું હતું કે તમારા જોબચાર્ટની પ્રથમ અગત્યના મુદ્દા હોવાની કામગીરી હોવા છતાં વેરા વસુલાત કરેલ નથી.તારીખ ૧-૪-૨૦૧૮ થી તારીખ ૩૧-૩-૨૦૧૯ દરમિયાન વેરા વસુલાતો કરવાની તાકીદ કરવામાં આવી હતી.તેમ છતાં વેરા વસુલાતની કામગીરી ૫૦ ટકા કરતા ઓછી કરાતા વસુલાતની કામગીરીમાં નિષ્ફળ ગયેલ તલાટીઓને તાલુકા વિકાસ અધિકારી દ્રારા નોટિસો પાઠવી તેઓ સામે વસુલાતની કામગીરીમાં બેદરકારી દાખવેલ છે અને તમો સેજામાં હાજર રહેલા નથી અને કામગીરી કરવામાં સક્ષમ નથી જેથી તમારો પગાર અટકાવવા સહિત જિલ્લાના હવાલે કેમ ન કરવા જેવા મુદ્દા આધારિત નોટિસો ફટકારતા ખળભળાટ મચી જવા પામ્યો છે.