પાલનપુરના હરિપુરામાં એક શંકાસ્પદ દુર્ઘટના સામે આવી હતી. જેમાં પાણીની ટાંકીમાં પડી ગયેલી ભત્રીજીને બચાવવા જતા કાકાને પણ જીવ ખોવાનો વારો આવ્યો હતો.
પાલનપુરના હરિપુરા વિસ્તારમાં નીતિનભાઈ ચંદુલાલ ડોડીયા તેમની ૧૨ વર્ષીય ભત્રીજી તેજલ સાથે રહેતા હતા. જે ભત્રીજી તેજલ આજે ઘર આગળ રહેલી પાણીની ટાંકીમાં પડી ગઈ હતી. જેને બચાવવા જતા કાકાએ પણ જીવ ખોયો હતો. ઘટનાની જાણ થતા દોડી આવેલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું પી.આઈ પી.એચ.વસાવાએ જણાવ્યું હતું.
જોકે, મૃતક નીતિનભાઈની માતાએ આ ઘટના વિષે કઈ પણ જાણ ન હોવાનું જણાવ્યું હતું. ત્યારે ઘણી ઉંડી ન હોવા છતાં પાણીની ટાંકીમાં ૨ લોકોના મોતથી મોતનું રહસ્ય ઘેરું
બન્યું છે.
હરિપુરા વિસ્તારમા મજૂરી કરીને પેટીયું રળતા પરિવારમા ૨ લોકોના મોતથી શોક વ્યાપી જવા પામ્યો છે. ત્યારે પોલીસે બન્ને મૃતદેહોને પી.એમ.અર્થે ખસેડી આ શંકાસ્પદ મોતની ગુત્થી ઉકેલવાના પ્રયાસો હાથ ધર્યા છે.