બનાસકાંઠા જિલ્લામાં એક ગામના રહેવાસીઓએ શિક્ષણ માટે અનોખો સત્યાગ્રહ હાથ ધર્યો છે. ડીસા નજીકના લાખણી ગામના ખોલવાડીયાવાસના બાળકો ત્રણ કિલોમીટર દૂર ભણવા જતા હતા. હાલમાં જ પ્રાથમિક શિક્ષણ વિભાગે અપૂરતી સંખ્યાના કારણે 6 અને 7 ધોરણના વર્ગો બંધ કરી દીધા. શાળા દૂર હોવાથી ખોલવાડીયાવાસના 1-5 ધોરણના નાના બાળકો ધો. 6-7ના બાળકોની સંગાથે સ્કૂલે જતા હતા. પણ ધો.6-7ના બાળકોનું સ્કૂલ જવાનું બંધ થઈ જતા ધો.1-5ના બાળકો પણ હવે સ્કૂલે જઈ શકતા નથી. ખોલવાડીયાવાસના ગ્રામજનોએ પોતાના ફળિયાના 60 વિદ્યાર્થીઓ માટે નવી સ્કૂલની માગણી કરી છે.
જ્યાં સુધી નવી સ્કૂલ મળે નહીં ત્યાં સુધી તેમણે જાતે જ બાળકોને ભણાવવાનો સત્યાગ્રહ શરૂ કર્યો છે. લાખણી તાલુકાના શિક્ષણાધિકારી જયંતિ પટેલે જણાવે છે કે, 'ખોલવાડીયાવાસની રજૂઆત આવી તે જ દિવસે મેં બીટ કેળવણી નિરીક્ષકને ફાઇલ મોકલી આપી છે.' જો કે વાલી પ્રધાનજી ઠાકોરે જણાવે છે કે, 'શિક્ષણ વિભાગ અધિકારીઓ અમારી માગણી પર ધ્યાન આપતા નથી. એટલે કંટાળીને અમે સંતાનોને જાતે ભણાવવાંનુ ચાલુ કર્યું છે.'
ગ્રામજનો જણાવે છે કે 'નવી શાળા માટે ગ્રામ પંચાયતનો ઠરાવ તાલુકાના અધિકારીઓ સુધી પહોંચતો કર્યો છે પણ 11 દિવસ છતાં કોઈ પગલાં લેવાયા નથી, એટલે અમે જાતે અમારાં બાળકો ભણાવવાનુ ચાલુ કર્યું છે.' માત્ર બે થી ત્રણ ધોરણ ભણેલા વાલીઓ ફળિયામાં લીમડાના ઝાડ તળે જાતે પોતાનાં સંતાનોને ભણાવે છે. તેમણે અલગ શાળાની માગણીને લઈને બાળકોને સ્કૂલે મોકલવાનું બંધ કર્યું પણ તેમનું ભણતર બગડે નહીં એટલા માટે તેઓ જાતે સંતાનોને ભણાવે છે.