ધાનેરા : ધાનેરા ખાતે રાયડાની સરકાર દ્વારા ટેકાના ભાવથી ખરીદી ચાલુ હતી પરંતુ અચાનક બે દિવસથી ખરીદી બંધ કરતાં ખેડૂતો રોષે ભરાયા છે.
ટુંકી હકીકત એવી છે કે ખેડૂતો માટે સરકાર દ્વારા ટેકાના ભાવે રાયડાની ખરીદી ચાલુ કરેલ જેમાં રાત્રીના સમયે મળતીયાઓનો માળ પાછળ બારણે તોલાતાં હતો જ્યારે ૯પ૦૦ રજીસ્ટ્રેશન ખેડૂતો થયેલ જે પૈકી અંદાજે ૩૦૦૦ ખેડૂતોનાં માલનો તોલ થયો છે. બાકીના ખેડૂતોનો માલ તોલ થયો નથી અને અગાઉ ખેડૂતોએ ભ્રષ્ટાચાર બાબતે હલ્લાબોલ કરી રસ્તો બ્લોક કરેલ જેમાં મામલતદાર બી.એચ.ખરાડીએ મધ્યરથી થઈ રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. ત્યારબાદ તોલ શરૂ થયો હતો પરંતુ બોરીઓ ઉતારવાની મજુરી ખેડૂતો પાસેથી વસુલ કરવામાં આવતાં ફરી ખેડૂતો નારાજ થયા હતા અને ઉચ્ચ લેવલે રજૂઆતો પણ કરી હતી.
જ્યારે હમણાં બે દિવસ અગાઉથી રાયડાની ખરીદી જ બંધ કરવામાં આવતાં રાષ્ટ્રીય કિસાન સંગઠનના વીરમાભાઈ કાગે તમામ ખેડૂતોને પૂરવઠા નિગમની કચેરીએ આજે બુધવારે બપોરે એક વાગે ભેગા થઈ આંદોલન કરવાની ચેતવણી આપી હતી. તેથી આજે આવેદનપત્ર સાથે આંદોલનના મંડાણ થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.