પાલનપુર શહેરની બિજેશ્વર કોલોની વિસ્તારમાં આવેલ એક બંધ મકાનમાં વહેલી સવારે તસ્કરો ત્રાટક્યા હતા. જેઓ મકાનમાં પડેલ અંદાજે રૂ.1.50 લાખના સરસામાનની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ અંગે પોલીસને જાણ થતા પુર્વ પોલીસ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.
સરહદી બનાસકાંઠા જિલ્લામાં મારા-મારી, ચોરી- લૂંટ સહીતના બનાવો ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં જ પાલનપુરની ભાગ્યોદય સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા. અને ત્રણ લાખ ઉપરાંતના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ ચોરીની ઘટનાની હજી શાહી સુકાઈ પણ નથી. ત્યારે બાજુમાં આવેલ બિજેશ્વર કોલોનીમાં રહેતા પ્રધ્યુમનભાઈ રાવલ વહેલી સવારે સામાજીક પ્રસંગમાં ગયા હતા. તે સમયે તેમના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને મકાનનું તાળુ તોડી મકાનમાં પડેલી તિજારી તોડી સરસામાન વેરણ છેરણ કરી સોના-ચાંદીના સહિત રૂ. ૧.૫૦ લાખના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.
વહેલી સવારે દુકાનની ચાવી લેવા આવેલા યુવકને જાણ થતા મકાન માલીકને જાણ કરવામાં આવી હતી.ત્યારબાદ આ અંગેની જાણ પોલીસને થતા ડી.વાય.એસ.પી એ.આર.ઝનકાત અને પુર્વ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી ડોગ સ્કોડ અને એફએસએલની મદદથી ચોરીનો ભેદ ઉકેલવાની તજવીજ હાથ ધરી છે.