બનાસકાંઠાના ડીસા તાલુકાના વિઠોદર ગામે દલિતોને મંદિરમાં પ્રવેશ કરતા રોકવાના મામલે સર્જાયેલા ઉહાપોહ વચ્ચે વહીવટી તંત્રના અધિકારીઓએ ગ્રામજનોની ઉપસ્થિતિમાં દલિતોને મંદિર પ્રવેશ કરાવી વિવાદનો અંત લાવ્યો હતો.થોડા દિવસ અગાઉ વિઠોદર ગામના આગમાતાના મંદિરમાં દલિતોને પ્રવેશતાં અટકાવવા ના મામલે ઉહાપોહ સર્જાયો હતો અને આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. ત્યારે ડીસાના મામલતદાર સહિત અન્ય અધિકારીઓની આગેવાની હેઠળ દલિતોનો મંદિર પ્રવેશ કરાવાયો હતો.ગામના તમામ સમાજના આગેવાનો અને ગામલોકોએ પણ સાથે રહી દલિતોને મંદિરપ્રવેશ કરાવતા વિવાદનો અંત આવ્યો હતો.
હાલ ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા એકતા યાત્રા યોજાઈ રહી છે ત્યારે બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારોમાં દલિતો સાથે દાખવાતા ભેદભાવ વચ્ચે ડીસા તાલુકાના વિઠોદર ગામે આજે મામલતદારે દલિતોને મંદિર પ્રવેશ કરાવી સામાજિક સમરસતાની પ્રતીતિ કરાવી હતી. ડીસા તાલુકાના વિઠોદર ગામમાં આવેલા આગ માતાના મંદિરના મહંતે તાજેતરમાં જ દલિત સમાજના લોકોને મંદિરમાં પ્રવેશતા અટકાવ્યા હતા.આ મામલે ઉહાપોહ સર્જાયો હતો અને આ બનાવ સંદર્ભે ડીસા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. જોકે ગામમાં ભાઈચારો અને કોમી એકતા જળવાઇ રહે તે માટે આજે ડીસાના મામલતદારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દલિતોને મંદિરમાં પ્રવેશ કરાવી સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. વિઠોદર ગામના આગ માતાના મંદિરમાં આજે ગામ લોકો અને દલિત સમાજના આગેવાનોની હાજરીમાં માતાજીના જયનાદ વચ્ચે દલિતોને મંદિરમાં પ્રવેશ કરાવાયો હતો.
ગામમાં સામાજિક સમરસતા જળવાઇ રહે તે માટે લેવાયેલા આ પગલાંને દલિત સમાજના અગ્રણીઓએ પણ બિરદાવ્યું હતું.