પાલનપુર : પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ગતરોજ વધુ એક મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બ્લડ બેંકમાંથી સમયસર લોહી ન મળતાં મહિલાનું મોત નિપજ્યું હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ હોબાળો કરતાં ઉત્તેજના પ્રસરી જવા પામી હતી. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સતત બીજા દિવસે દર્દીનું સારવાર દરમિયાન મોત થયું હતું. સોમવારે વડગામ તાલુકાના પેપોળ ગામના સેધાભાઈ પરમાર (ઉ.વ.૫૫) ની તબિયત લથડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતુ. જોકે, સોનોગ્રાફી કરવામાં બે કલાક જેટલો સમય લગતા દર્દીનું મોત નિપજ્યું હોવાના આક્ષેપ કરી મૃતકના પરિવારજનોએ હોબાળો કરતાં ભારે ઉત્તેજના પ્રસરી જવા પામી હતી.
જ્યારે મંગળવારે એક આદિવાસી મહિલાને સારવાર અર્થે ખસેડાઇ હતી. તેણીનું સારવાર દરમિયાન મોત નિપજયુ હતું. જોકે, બલ્ડ બેંકમાંથી સમયસર લોહી ન મળતાં અને તબીબોની બેદરકારીથી મહિલાનું મોત નિપજ્યું હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ હોબાળો કરતાં ઉત્તેજના પ્રસરી જવા પામી હતી. આમ, પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સતત બીજા દિવસે પણ સિવિલની બેદરકારીએ દર્દીનું મોત નીપજતાં ચકચાર મચી જવા પામી છે.